કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પત્રકાર પરિષદમાં રાફેલ ડીલ અંગે અનેક સવાલો ઉભા કર્યા હતા. ખાસ કરીને હાલના કેગના વડા રાજીવ મહિર્ષીની ભૂમિકા સામે તેમણે શંકાઓ ઉભી કરી કેગ રિપોર્ટમાં નિષ્પક્ષતા અંગે આશંકા વ્યક્ત કરી હતી. કપિલ સિબ્બલે જણાવ્યું કે રાફેલ ડિલ અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે રાજીવ મહિર્ષી ફાયનાન્સ સેક્રેટરી હતી અને તેઓ પણ આ ડીલની વાતચીતમાં સામેલ હતા.
કપિલ સિબ્બલે કહ્યું કે હવે રાફેલ ડિલમાં સામેલ રાજીવ મહિર્ષી આજે કેગના વડા છે. તેઓ આવતીકાલે કે ટૂંક સમયમાં રાફેલ અંગે કેગનો રિપોર્ટ પાર્લામેન્ટમાં રજૂ કરવા જઈ રહ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે જે માણસ પોતે એક વખત ખોટું કરીને બેઠો હોય અને તે જ માણસ જજ બનીને પોતાના ખોટા કરેલા અંગે જજમેન્ટ આપે તો એ જજમેન્ટ તટસ્થ અને નિષ્પક્ષ કેવી રીતે હોઈ શકે છે. રાજીવ મહિર્ષી પોતે રાફેલ ડીલમાં સામેલ છે તો તેઓ પોતાનો અને સરકારનો બચાવ કરતો જ રિપોર્ટ રજૂ કરશે એવું લાગે છે. રાજીવ મહિર્ષીએ રિપોર્ટમાં નિષ્પક્ષતા દર્શાવવાની જરૂર છે. તેઓ જે કંઈ પણ રિપોર્ટ રજૂ કરે તેમાં અમને લાગે છે કે તેઓ પોતે પ્રધાનમંત્રી અને પોતાનો પણ બચાવ કરશે.
તેમણે કહ્યું કે કેટલાક અધિકારીઓ મોદી સરકારના વફાદાર હોવાનો દેખાડો કરવામાં એટલા બધા મહત્વકાંક્ષી થઈ ગયા છે કે તેઓ દેશની રક્ષાને પણ કોરાણે મૂકી રહ્યા છે. આવા અધિકારીઓએ સમજી લેવાની જરૂર છે કે સરકારો તો આવતી અને જતી રહેશે પરંતુ દેશ હિતમાં કરેલા કાર્યો જ મહત્વના હોય છે. જો કેગ રિપોર્ટમાં સરકારને બચાવવામાં આવશે તો એ વધુ એક મહાકૌભાંડ બની રહેશે અને કેગ પણ સરકારના નિયંત્રણમાં હોવાનો પુરાવો આપોઆપ ઉભો થઈ જશે. સીબીઆઈ અને ઈડીમાં જોવા મળે છે તેમ હવે કેગમાં પણ આ ઐતિહાસિક બાબત બનશે.
કપિલ સિબ્બલે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર પણ પ્રહાર કરી કહ્યું કે તેઓ દેશના રક્ષા મંત્રી છે કે પ્રધાનમંત્રી મોદીની રક્ષા કરનારા રક્ષા મંત્રી છે. તેમણે દેશની રક્ષાની ચિંંતા કરવાની જરૂર છે.