લોકસભા ચૂંટણીમાં જોરદાર જંગને નિહાળીને ભાજપે દાવ બદલ્યા છે. હવે ભાજપ વધુને વધુ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવા જઈ રહ્યું છે અને પાર્ટીઓ સાથે નરમ વલણ પણ અપનાવાઈ રહ્યું છે. 2014માં ભાજપે 16 પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને હવે 2019માં આ આંકડો 29 પર પહોંચી ગયો છે.
પાછલી ચૂંટણીમાં બિહારમાં ભાજપ 40 સીટમાંથી 22 બેઠક પર જીત હાંસલ કરી હતી છતાં આ વખતે માત્ર 17 બેઠક પર ચૂંટણી લડવા માટે રાજી થઈ ગઈ છે. આ ઉપરાંત ભાજપે ગઠબંધનમાં જીતેલી સીટો પણ છોડી દીધી છે. જ્યારે હારેલી સીટો પર ભાજપ પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. દાખલા તરીકે બિહરામાં નવાદાની બેઠક એલજીપીના ખાતામાં જઈ શકે છે જ્યારે જનતાદળ-યુ પણ ભાજપની કેટલીક જીતેલી સીટોની માંગ કરી રહ્યું છે.
ઝારખંડમાં તો ભાજપે બહુ મોટી કુરબાની આપી છે. ઝારખંડ ગિરિડીહ સીટ પર ભાજપ પાછલી પાંચ ટર્મથી ચૂંટણી જીતતી આવેલી છે પરંતુ આ વખતે આ સીટ ગઠબંધન કરનારી પાર્ટી એજેએસયુ માટે છોડી દીધી છે.
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. શિવસેનાએ સમયે-સમયે વડાપ્રધાન મોદી પર રાજકીય હુમલા કર્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે પીએમ મોદીને તોર સુદ્વાં કહી દીધા હતા. શિવસેનાએ નોટબંઘી, આર્થિક સ્થિતિ અને સર્જિકલ સ્ટ્રાઈક સહિત અનેક મુદ્દા પર પીએમ મોદી પર આક્રમકતાથી હુમલા કર્યા છે. જ્યારે ભાજપે આઈએડીએમકે સાથે સાઉથમાં હાથ મિલાવ્યા છે અને ગઠબંધનમાં ડીએમડીકેને પણ સામેલ કર્યો છે.
ઉત્તરપ્રદેશમાં જોઈએ તો સીએમ યોગી પણ ભાજપ વતી કેટલીક પાર્ટીઓને મનાવી રહ્યા છે. તેમણે રાજભર સુહેલદેવની પાર્ટી ભારતીય સમાજવાદી પાર્ટીના 6 નેતાઓ તથા અપના દળના સાત નેતાઓને અલગ-અલગ બોર્ડ-નિગમોમાં નિમણૂંક આપી છે.
બીજી તરફ વિપક્ષ એકજૂટ થઈને ભાજપની સામે ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યું છે. વિપક્ષી નેતાઓની એકતા મંચ પર જોવા મળી રહી છે. વિપક્ષી દળો મહાગઠબંધન બનાવી ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યા છે.