લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નવસારી લોકસભામાં પાટીલ વર્સીસ કોળી પટેલ સમાજનો જંગ મંડાઈ ગયો છે. રવિવારે નવસારીમાં કોળી પટેલ સમાજના વિશાલ સંમેલનમાં અખિલ ભારતીય કોળી સમાજનું ગુજરાતનું સંમેલન મળ્યું હતું. આજે પણ વધુ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, કોળી પટેલ સમાજે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર ઘર્મેશ પટેલને જીતાડી લાવવાનો ઠરાવ કર્યો હતો. અખિલ ભારતીય કોળી પટેલ સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાળાએ ભાજપના સાસંદ સીઆર પાટીલને હરાવી દેવાની હાકલ કરી હતી.
ચંદ્રવદન પીઠાવાળાએ કહ્યું સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ. દરેક નાના મોટા કોળી પટેલ સમાજના મંડળો એકત્ર થયા છે. કોળી સમાજે પહેલાં તો આપણે આપણી ઓળખને મજબૂત કરવાની છે. અખિલ ભારતીય કોળી સમાજની સ્થાપના 50 વર્ષ પહેલાં કરી હતી અને કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેવા રામનાથ કોવિંદ આજે દેશના રાષ્ટ્રપતિ છે.
તેમણે કહ્યું કે હાલમાં દેશના 17થી 18 રાજ્યોમાં કોળી સમાજનું કામ ચાલે છે. ગુજરાતમાં કોળી સમાજની વસ્તી 29 ટકા છે, જ્યારે દેશમાં 22 ટકા વસ્તી ધરાવીએ છીએ. સૌથી મોટો સમાજ છે. આપણી તાકાત બહુ મોટી છે. દુર્ભાગ્યની વાત છે કે આપણે સંગઠીત થઈ શકતા નથી. હવે સંગઠીત થવાની જરૂર છે. અને કમનસીબી એ છે કે આટલી બધી વસ્તી હોવા છતાં આપણે આપણા સમાજના માણસને ચૂંટી લાવી શકતા નથી. સામે આપણા સમાજની વ્યક્તિ નથી. જો આપણે આપણા સમાજની વ્યક્તિને ચૂંટી લાવવામાં નિષ્ફળ જઈએ તો આવનારી પેઢી આપણને માફ કરશે નહીં.
ચંદ્રવદન પીઠાવાળાએ કહ્યું કે કોળી સમાજ સહિત અન્ય સમાજમાં પણ આદત પડી ગઈ છે એકબીજાના પગ ખેંચવાની. ઘણા લોકો એવા છે કે સમાજમાં રહીને સમાજનું વિભાજન કરવાની પણ વાત કરતા હોય છે. આવી વ્યક્તિને પકડી સમાજના મંડળમાંથી બહાર કાઢી મૂકવાની આવશ્યક્તા છે. સમાજમાં રહીને સમાજને કલંકિત કરતી પ્રવૃત્તિ કરતા હોય તો તેમને સમાજમાંથી દૂર કરી દેવામાં આવે.
તેમણે કહ્યું કે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઈએ છીએ. રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાયેલ હોવાથી સમાજના કાર્યો થાય છે. સમાજ મજબૂત ન હોય તો કોઈ પણ રાજકીય પક્ષ ટીકીટ આપે નહીં, કેટલાક ટીકીટ લેવા ખાતર ટીકીટ લે છે, પણ આવી રીતે સમાજને બદનામ કરવાની જરૂર નથી. હું પણ એક સમયે કોંગ્રેસમાં ગુજરાતના ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી, કોંગ્રેસે કોળી પટેલ સમાજને ટીકીટ આપી પણ છેલ્લી ઘડીએ ટીકીટ બદલાઈ ગઈ હતી અને ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મેં પોતે વોટ આપ્યો ન હતો. કોળી સમાજનું કોળી પટેલ સમાજનું અપમાન કર્યું હતું અને એટલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
તેમણે કહ્યું કે મત આપતી વખતે સમાજને ભૂલશો નહીં. સમાજ નહીં હશે કોઈ કિમત કરશે નહીં. કોંગ્રેસે ટીકીટ આપી છે, કોંગ્રેસે આમને આમ ટીકીટ આપી નથી.કોંગ્રેસે સમાજની તાકાત જોઈ છે. કોંગ્રેસ પક્ષને ખબર પડી ગઈ છે કે એટલે ટીકી ટ આપી છે. કોંગ્રેસે ટીકીટ આપી છે તો પક્ષાપક્ષી દુર રહી, અંગત વિવાદોને દુર રાખી, ફક્તને ફક્ત કોળી સમાજના ઉમેદવારને વોટ આપી જીતાડી લાવો. બેથી ત્રણ ટર્મથી કોળી ઉમેદવાર નથી. તમને શું મળી રહ્યું છે? નવાસરીમાંથી સાંસદ બનીને બેઠાં છે તેમણે કોળી સમાજનું કયું કામ કર્યું છે. મારી પાસે પુરાવા છે કે કોઈ પણ જગ્યાએ કોળીનું કામ થતું નથી. જે વ્યક્તિ સમાજનું કામ કરતા ન હોય, મહત્વ ન આપતા હોય તેવી વ્યક્તિને હોદ્દા પરથી દુર કરો. સમાજની વ્યક્તિ હશે તો આપણી વાત સાંભળશે અને કામ કરશે. નહીં કરશે તો કાન પકડીને કરાવીશું.