2015નું વર્ષ ગુજરાતના રાજકારણ માટે ઈતિહાસે લખાશે. પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને સમગ્ર ગુજરાતમાં યુવા આંદોલનકારીઓ ઉભરી આવ્યા. હાર્દિક પટેલ સહિતના યુવાનોએ રસ્તા પર ઉતરી સરકારને પડકારી. સરકાર હચમચી ગઈ અને પ્રચંડ પાટીદાર તાકાત જોવા મળી હતી. પાટીદાર અનામત આંદોલનમાં એક મહિલા સતત રસ્તા પર ઉતરીને લાઠીઓ ખાઈ રહી હતી. પોલીસનાં દંડા તેના શરીરે નિશાન છોડી જઈ રહ્યા હતા. પરંતુ આ મહિલા જરા પણ ડગ્યા વિના સતત ઝઝૂમતી રહી હતી. આ મહિલાનું નામ છે રેશ્મા પટેલ. ચાર વર્ષના આંદોલનના સંઘર્ષમાંથી જન્મેલી ગુજરાતની મહિલા પાટીદાર નેતાગીરી હવે પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભામાં કિસ્મત અજમાવવા રાજકારણના અખાડામાં કૂદી પડી છે.
33 વર્ષીય રેશ્મા પટેલનું ફેમિલી બેકગ્રાઉન્ડ અપર મિડલ ક્લાસનું છે. પાટીદાર અનામત આંદોલનમાં જોડાતા પહેલા રેશ્મા પટેલ સામાજિક કાર્યોમાં અમદાવાદ-જૂનાગઢમાં સક્રીય હતા. પાટીદાર આંદોલન શરૂ થયું અને તેમાં એક તબક્કો એવો આવ્યો કે હાર્દિક સહિતના PAASનાં નેતાઓને જેલમાં જવાનો વખત આવ્યો ત્યારે રેશ્મા પટેલ ખૂબ લડી મર્દાનીની જેમ આંદોલનને સુષુપ્ત નહીં થવા દેવાના પ્રણ સાથે મેદાનમાં અડગ રહી હતી.
સરકારે ડરનો માહોલ ઉભો કર્યો પણ રેશ્માએ ડર્યા કે ડગ્યા વિના સતત આંદોલન ધકબતું રાખ્યું. 31 દિવસનો જેલવાસ અને 21 દિવસના ઉપવાસ સાથે રેશ્મા પટેલનો પાટીદાર અનામત આંદોલન સાથે સક્રીય ધરોબો રહ્યો હતો. આ ધરોબો એક્તા યાત્રા સુધી રહ્યો. આંદોલનના અનેક પડાવ પાર કરીને રેશ્મા પટેલ પોતાની આક્રમકતાનો પરિચય કરાવ્યો. ગુજરાત સરકારે આર્થિક વર્ગ માટે અનામતની જાહેરાત કરી તો રેશ્મા પટેલે તેનું સ્વાગત કર્યું. PAASમાં બે ધરી થઈ. એક ધરી કોંગ્રેસની તરફેણમાં આવી અને બીજી ધરી સીધી રીતે ભાજપ સાથે રહી. રેશ્મા પટેલે ભાજપ પર વિશ્વાસ મૂક્યો અને જાહેરાતને ટેકો આપ્યો અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કામ કર્યું, ભાજપનો પ્રચાર કર્યો.
રેશ્મા પટેલ કહે છે કે ભાજપમાં જોડાઈ ત્યારે સરકારે કરેલી જાહેરાતનું અમલીકરણ થશે. પાટીદાર યુવાનો પરના કેસો પરત ખેંચાશે, શદીહ યુવાનોના પરિવારજનોને નોકરી અપાશે તેવી આશા સાથે સત્તાધારી પક્ષમાં જોડાઈ હતી. પરંતુ સરકારે અડધા કેસો પાછા ખેંચ્યા અને અડધા નહીં. શહીદ યુવાનોના પરિવારોને નોકરી આપવાની સતત માંગ કરવામાં આવી રહી હતી પણ તેમાં કોઈ કાર્યવાહી કરાઈ નહી. ખેડુતોના પ્રશ્નો, મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર સરકાર દ્વારા ગંભીરતા દર્શાવવામાં આવી નહીં. 2017માં ભારે વિરોધ વચ્ચે ચૂંટણી જીતી જતાં સરકારને અભિમાન થઈ ગયું કે હવે કોઈ અમને હરાવી શકશે નહીં. તાનાશાહી વધી અને છેવટે 2019માં ભાજપને છોડવાનો નિર્ણય કર્યો. ભાજપે રાજનીતિ કરી પરંતુ પાટીદાર સમાજને આપેલા વચનો પૂર્ણ કર્યા નથી.
રેશ્મા પટેલે ભાજપને ત્યાગી દીધા બાદ સીધી રીતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના ખમતીધર ઉમેદવારો સામે પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા લડવાનું નક્કી કર્યું. પોરબંદર લોકસભા અપક્ષ તરીકે અને માણાવદર વિધાનસભા એનસીપીમાંથી લડી રહ્યા છે.
રેશ્મા પટેલ કહે છે કે ચૂંટણી લડવાનો મકસદ એક જ છે કે ભાજપ-કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ચાલતા ફિક્સીંગના રાજકારણની સામે લોકોનો અવાજ બુલંદ કરવાનો. લોકોની સમસ્યા પ્રત્યે ભાજપ અને કોંગ્રેસની નીતિઓથી લોકો ત્રાસી ગયા છે. બન્ને વચ્ચે ફિક્સીંગ ચાલે છે. ભાજપ-કોંગ્રેસની મીલીભગતથી ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થતો નથી એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે, આ ભ્રમને હવે દુર કરવાનું બીડું ઝડપી લીધું છે. ત્રીજો મોરચો સફળ થતો નથી એમ કહીને ત્રીજા મોરચાને બદનામ કરવામાં આવે છે.
રેશ્મા પટેલ સીધી રીતે વાત કરે છે કે માણાવદરમાં પણ કોંગ્રેસ અને ભાજપની મેચ ફિક્સ થયેલી છે. કોંગ્રેસને ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા સામે ફિક્સીંગ કરી નબળા ઉમેદવારી પસંદગી કરી છે. ફિક્સીંગને તોડી પાડવા માટે અને ગુજરાતની પ્રજાને જાગૃત કરવાના ઈરાદે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પરિણામ જે આવે તે, પરંતુ ત્રીજા મોરચાનો વિકલ્પ ગુજરાત પાસે છે એ દાખલો જરૂર બેસાડી દેવાનો સમય આવી ગયો છે. ભાજપ અને કોંગ્રેસ સ્વાર્થલક્ષી રાજનીતિ કરી રહ્યા છે.
એનસીપીમાં જોડાવા અંગે રેશ્મા પટેલ કહે છે કે રાજનીતિ લોકસેવાનું માધ્યમ છે અને સબળ રીતે ત્રીજા મોરચાનો વિકલ્પ ઉભો કરી ભાજપ-કોંગ્રેસને ફિક્સ થયેલી મેચમાં પંચર પાડવાનું કામ કરવાનું છે. લોકો પર વિશ્વાસ છે અને મને લોકો પર વિશ્વાસ છે કે માણાવદરમાં લોકો સત્યનો અને સાચાનો સાથ આપશે.