છેલ્લા ત્રણ મહિનાથી રાજકારણમાં આવવા માટે મથતાં નરેશ પટેલે આખરી તારીખ 15 મે ના દિવસે કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લેવાની વાત કરેલો, જે બાદ આજે ફરી એકવાર આ વાતનું લંબાણ કરીને આવતા 10 દિવસ સુધીમાં નિર્ણય લેશું તેવી વાત કરી છે.
આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને હવે માત્ર છ મહિનાઓનો સમય બાકી રહ્યો છે, ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી અને આમ જોઈએ તો એકાદ વર્ષથી રાજકારણમાં પ્રવેશવા ઈચ્છુક ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પર દરેક પાર્ટીઓની નજર ટકી છે, પણ અહી નરેશ પટેલ છે જે તારીખ ઉપર તારીખ આપીને રાજનીતિક પાર્ટીઓ, તેમના સમાજના લોકો, અને સર્વ જનતાની ધીરજના પારખાં કરી રહ્યાં છે.
નરેશ પટેલનો દર અઠવાડિયે કોઈને કોઈ નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલુ છે, ગત્ પહેલી તારીખે દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના અને પાટીદાર સમાજના ધારાસભ્યો સાથે કોંગ્રેસના હાઈકમાન સાથે બેઠક કરેલી ત્યારે નિવેદન આપેલું કે 15 તારીખે ફાઇનલ કરશે કે કઈ પાર્ટીમાં જાઉં છું.
ક્યારેક સર્વેની રાહ હોય, તો ક્યારેક કોંગ્રેસ સાથે વિવિધ શરતોની વાત હોય… કોઈને કોઈ બહાને નરેશ પટેલ કન્ફયુઝનમાં જોવા મળી રહ્યાં છે, આવા સમયે આજે રાજકોટ ખાતે કોંગ્રેસથી નારાજ રહેતાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા સહિતના નેતાઓ સાથે નરેશ પટેલની બેઠક યોજાઈ હતી, જેના કારણે રાજકારણમાં અનેક તર્ક વિતર્કો ચાલવા માંડ્યા છે.
હાર્દિક પટેલ છેલ્લા કેટલાંય સમયથી પોતાની કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે, અને કોઈ પણ ક્ષણે પાર્ટી છોડી શકે તેવું દેખાય છે, આવા સમયે નરેશ પટેલ અને પાસ ના અન્ય નેતાઓ સાથેની બેઠક કઈક નવાજૂનીના અણસાર દર્શાવતી હોય તેવું સૂચવે છે.