નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે, લોકડાઉનમાંથી બહાર નીકળવાની રણનીતિ બનાવવી જોઈએ. રાહુલે કહ્યું કે, આ પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકોમાં આ વાયરસ સાથે સંકળાયેલા ડરનું વાતાવરણ ખતમ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારના પગલાઓમાં પારદર્શિતા હોવી જોઈએ અને સરકારે નાના ઉદ્યોગોને તાત્કાલિક મદદ કરવી જોઈએ અને 7500 રૂપિયા ગરીબ અને મજૂરોના ખાતામાં નાખવા જોઈએ.
રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે, આપણે નાના ઉદ્યોગો અને મજૂરોને મદદ કરવી પડશે. લોકોની નોકરી જતી રહી છે. જો હવે આપણે મદદ નહીં કરીએ તો સુનામી આવી જશે. ” રાહુલે કહ્યું કે જો આપણે લોકડાઉનમાંથી બહાર નીકળવું હોય તો આપણે ડરનો અંત લાવવો પડશે. કહેવું પડે છે કે કોરોના 99 ટકા લોકો માટે જોખમી નથી. આપણે એક ટકા લોકોનું રક્ષણ કરવાનું છે, જેના માટે તે જોખમી છે. રાહુલે કહ્યું કે, જો આપણે આ લડતને પીએમઓમાં રાખીશું તો આ લડત હારી જઈશું. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ પર અને મુખ્યમંત્રીઓએ જિલ્લા અધિકારીઓ ઉપર વિશ્વાસ રાખવો પડશે. રાહુલ ગાંધીના મતે કોંગ્રેસના શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યું કે, આ સંકટ સામે લડવા વિકેન્દ્રીકરણની જરૂર છે.