કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર ફરી એક વાર આક્રમક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે મોદી સરકાર રોબર્ટ વાડ્રા કે પી.ચિદમ્બરમની ભલે તપાસ કરાવે પણ સાથો સાથ રાફેલ કૌભાંડ અંગે પણ જવાબ આપે અને કાર્યવાહી કરાવે.
રાહુલ ગાંધીએ અંગ્રેજી ન્યૂઝ પેપરને ટાંકીને રાફેલ ડીલ અંગે કહ્યું કે પીએમ મોદીએ સમાંતર વાતચીત કરીને રક્ષા મંત્રાલયને કમજોર કરવાનું કામ કર્યું છે અને સમગ્ર પ્રક્રિયાને નજર અંદાજ કરીને પોતાના મિત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ આપી દીધો.
કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે એક વર્ષથી કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદી રાફેલ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા છે. અખબારના રિપોર્ટમાં સ્પષ્ટ રીત લખાયું છે કે વડાપ્રધાને ફ્રાન્સની સાથે સમાંતર વાત કરી હતી. વડાપ્રધાને તમામ પ્રક્રિયાને નેવે મૂકીને યુવા અને સુરક્ષા દળોના 30 હજાર કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી અને પોતાના મિત્ર અનિલ અંબાણીને આપી દીધા. આની તપાસ થવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેમને કહ્યું હતું કે અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે. હવે રક્ષા મંત્રાલય કહે છે કે વડાપ્રધાને ચોરી કરી છે. આખોય મામલો સ્પષ્ટ છે. હું આકરા શબ્દોનો પ્રયોગ કરતો નથી પરંત વિવશ થઈને કહું છું કે ભારતના વડાપ્રધાન ચોર છે.
નોંધનીય છે કે અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે રક્ષા મંત્રાલયે રાફેલ ડીલ અંગે વાંધા ઉઠાવ્યા હતા પરંતુ વડાપ્રધાન કાર્યાલયે રાફેલ ડીલને લઈ ફ્રાન્સની સાથે સમાંતર વાતચીત કરી અને રક્ષા મંત્રાલયની વાતને નજર અંદાજ કરી દેવામાં આવી હતી. રાફેલ ડીલને લઈ કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા અવિરત રાજકીય હુમલા કરવામાં આવી રહ્યા છે. સરકાર અને અનિલ અંબાણીએ આરોપોને ફગાવી દીધા છે.
રોબર્ટ વાડ્રાની ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તે અંગેના સવાલોના જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે જેના વિરુદ્વ તપાસ કરવાની હોય તે કરો પરંત રાફેલ પર પણ કાર્યવાહી કરો. ચિદમ્બરમની તપાસ કરવા માંગો છો તો કરો, અમે તેનો સામનો કરીશું. રોબર્ટ વાડ્રા, ચિદમ્બરમ કે અન્ય કોઈની પણ તપાસ કરવા માંગતા હો તો કરો પણ રાફેલ અંગે પણ તપાસ કરો અને જવાબ આપો.
વડાપ્રધાન મોદીના ઉલ્ટા ચોર કોટવાલ કો દાંડે અંગેના નિવેદન વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે તેઓ પોતે પોતાના માટે જ બોલી રહ્યા છે. તેમનું બેવડુ વ્યક્તિત્વ છે. એક દિવસ તેઓ ચોર બની જાય છે અને એક દિવસ ચોકીદાર બની જાય છે. એક પછી એક તેઓ બહાના બનાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે જુઠ્ઠાણું ચલાવ્યું છે. કેગ રિપોર્ટની વાત કરાઈ પરંતુ તે પણ રજૂ કરાઈ નથી. મનોહર પરિકર સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. રાફેલ અંગે કોઈ વાત કરી ન હતી.