માણાવદર વિધાનસભામાં એનસીપીના ઝુઝારૂ મહિલા ઉમેદવાર રેશ્મા પટેલ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ગામડે-ગામડે ફરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે રેશ્મા પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રીજા મોરચા અંગે પોતાની વાત રજૂ કરી છે.
રેશ્મા પટેલે જણાવ્યું કે એનસીપીની ટીમ દ્વારા માણાવદરમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતને ત્રીજા મોરચાની જરૂર છે. માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો મોરચો સફળ થશે. જ્યારે જ્યારે ત્રીજો મોરચાએ લોકહિતમાં ગુજરાતમાં માથું ઉંચક્યું છે ત્યારે ત્યારે સેટીંગવાળા બન્ને પક્ષો ત્રીજો મોરચા પર લાંછન લગાડે છે અને લોકવાયકા ફેલાવે છે. માણાવદરમાં હજુ પણ લોકવાયકા ફેલાવી એ-ટીમ અને બી-ટીમનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતને ત્રીજા મોરચાની જરૂર છે.
રેશ્મા પટેલે માણાવદરના શાકભાજી માર્ક્ટેમાં પેમ્પલેટ વહેંચી પોતાનો પ્રચાર કર્યો હતો અને લોકોને મતરૂપી આશિર્વાદ આપવા માટે વિનંતી કરી હતી. માણાવદરમાં રેશ્મા પટેલની સામે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી ઉભા છે. રેશ્મા પટેલે સત્ય ડેને કહ્યું હતું કે કોંગ્રેસે ભાજપની સામે જાણી જોઈને નબળા ઉમેદવારને ટીકીટ આપી છે પરંતુ કોંગ્રેસ અને ભાજપના આ સેટીંગને એનસીપી આ વખતે સફળ થવા દેશે નહીં.