સુપ્રીમ કોર્ટ દ્વારા નુપુર શર્મા પર કરવામાં આવેલી ટિપ્પણીની ઘણા ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ટીકા કરી છે અને આ અંગે ફરિયાદ કરવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે. કેરળ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રવિન્દ્રનના પત્રમાં 15 નિવૃત્ત ન્યાયાધીશો, 77 નિવૃત્ત અમલદારો, 25 નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ તેમના નિવેદન પર હસ્તાક્ષર કરીને સમર્થન કર્યું છે. તમને જણાવી દઈએ કે નુપુર શર્માએ દેશના અલગ-અલગ રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
નુપુરની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલની ખંડપીઠે મૌખિક ટીપ્પણી કરતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં આગ લગાવવા માટે તેમનું નિવેદન જવાબદાર છે. આ ટિપ્પણી બાદ અલગ-અલગ સંગઠનો દરરોજ ચીફ જસ્ટિસને પત્ર લખીને ફરિયાદ કરી રહ્યા છે. કેરળ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પીએન રવીન્દ્રને ચીફ જસ્ટિસને પત્ર લખીને કહ્યું છે કે આ ટિપ્પણીથી સુપ્રીમ કોર્ટે લક્ષ્મણ રેખા પાર કરી છે. તેમના પત્ર પર ન્યાયતંત્ર, નોકરશાહી અને સેનાના 117 ભૂતપૂર્વ અધિકારીઓ અને ન્યાયાધીશોના હસ્તાક્ષર છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના એક સંગઠન ‘ફોરમ ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ’એ પણ ચીફ જસ્ટિસને પત્ર લખીને નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીની ટીકા કરી છે.