સુરત લોકસભા સીટ આમ તો રાષ્ટ્રીય ઉપલક્ષ્યમાં મહત્વની બની રહી છે. ખાસ કરીને જનતા પાર્ટીમાંથી સુરત બેઠક પરથી વિજેતા બનેલ મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી સુરત બેઠકનું રાષ્ટ્રીય કક્ષાએ ગણના થવા માંડી છે. ત્યાર બાદ કાશીરામ રાણાના કારણે પણ સુરત લોકસભાનું મહત્વ ઉભું થયું.
આર્થિક પાટનગર તરીકે સુરતની ગણના થાય છે. કાશીરામ રાણાની ટીકીટ કાપ્યા બાદ 2009માં તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શના જરદોષને ટીકીટ આપી ત્યારથી લઈને સુરત બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચઢાવ-ઉતારના લેખાં-જોખા થતા રહ્યા છે. 2008માં ડિલીમીટેશન થયા બાદ નવસારીને અલાયદી લોકસભા આપવામાં આવી અને સુરત લોકસભાને અલગ કરવામાં આવી અને ભાજપે 2009ની લોકસભાની ચૂંટણીમાં દર્શના જરદોષને ટીકીટ આપી તો કોંગ્રેસે પાટીદાર સમાજના દબંગ નેતા ધીરુ ગજેરાના ટીકીટ આપી. ધીરુ ગજેરા અને દર્શના જરદોષ વચ્ચે મુકાબલો જોરદાર રહ્યો હતો અને ધીરુ ગજેરા માત્ર 74, 798ની લીડથી હારી ગયા હતા.
2014ની ચૂંટણીમાં કોંગ્રેસે દર્શના જરદોષ સામે નૈષધ દેસાઈની ટીકીટ આપી. નૈષધ દેસાઈ ચૂંટણી લડ્યા જ નહીં, માત્ર ઉમેદવારી કરવા ખાતર ઉમેદવારી કરી હોય એવું લાગ્યું. ન તો નૈષધ દેસાઈએ કોઈ પ્રચાર કર્યો અને ન તો કોઈ મેનેજમેન્ટ કર્યું હતું. નૈષધ દેસાઈને ટીકીટ આપી અને તેમાં મોદી વેવ ચાલ્યો અને કોંગ્રેસનો સાડા પાંચ લાખની લીડથી પરાજય થયો હતો. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યો ન હોત તો પણ ચાલતે, પરંતુ ચૂંટણીમાં ઉમેદવારની ખાલી જગ્યા પૂરવાની હતી અને તે પુરવામાં આવી.
હવે કોંગ્રેસે ફરી એક વાર પાટીદાર કાર્ડને મેદાનમાં ઉતાર્યો છે. અશોક પટેલ(અધેવાડા) જેવા નવા ચહેરાને ટીકીટ આપી છે. કોંગ્રેસમાં અશોક પટેલ અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પપ્પન તોગડીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને ભરતસિંહ સોલંકી તથા અમિત ચાવડાના ખાસમ ખાસ હસમુખ દેસાઈએ વિરોધનો બૂંગિયો ફૂંકી દીધો છે. આ બન્નેની જોડી સામે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા વિધાનસભાની ઉમેદવાર ધીરુ ગજેરા કરેલા આક્ષેપો ચોંકાવનારા હતા. છેક દિલ્હી સુધી ધીરુ ગજેરાએ ફરીયાદ કરી છે. ફરીયાદોના ખડકલો હોવા છતાં બન્નેને હોદ્દા અને કોંગ્રેસમાં શિરપાવ આપવામાં આવી રહ્યા છે.
વારુ, આ બધી બાબતોના બદલે સ્થિતિની ચર્ચા કરીએ તો અશોક પટેલે ધીરુ ગજેરા પેટર્ન પર ચૂંટણી લડવાની તૈયારી કરી છે. પાટીદાર, મુસ્લિમ અને દલિત કોમ્બિનેશન સર્જવામાં આવ્યું છે. 2009માં ધીરુ ગજેરાની 74 હજારની લીડને કાપવા માટે કોંગ્રેસે માસ્ટર પ્લાન બનાવ્યો છે. દર્શના જરદોષ સામે અત્યાર સુધી એવો કોઈ વિવાદ ઉભો થયો નથી પરંતુ જાતિગત સમીકરણો દર્શના જરદોષની ફેવર કરી રહ્યા નથી.
પ્રથમ તો 2009 કે 2014 જેવી સ્થિતિ સુરતમાં નથી. 2014ને એટલા માટે કોંગ્રેસ તરફે માઈનસ કરવામાં આવે છે કે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ આ બેઠક ત્યારે ભાજપને સામે ચાલીને તાસકમાં ધરી દીધી હતી. પણ ધીરુ ગજેરાની 2009ની ચૂંટણીની પેટર્ન જોઈએ તો હાલના બદલાયેલા માહોલમાં અશોક પટેલ ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ માટે એક પડકાર બનીને ઉભરી રહ્યા છે.
સુરત બેઠક આમ તો ભાજપનો ગઢ મનાય છે. પણ પાટીદાર અનામત આંદોલન અને ભાજપ દ્વારા પાટીદાર સમાજને ટીકીટ નહીં આપવાની બાબત ભાજપ માટે પાટીદાર સમાજને સુરતમાં માઈનસ સ્થિતિમાં મૂકે છે. મૂળ સુરતી મતદારો કરતા સુરત બેઠક પર પાટીદાર મતદારોની સંખ્યા વધી છે.
આમ તો સાતેય વિધાનસભામાં ભાજપનો દબદબો છે. એવું કહેવાય છે કે સુરતમાં ભાજપ સ્ટ્રીટ લાઈટનાં થાંભલાને પણ ટીકીટ આપે તો એ પણ જીતી જાય. વિધાનસભામાં ભાજપને જે સરસાઈ મળી છે તે જોતાં કોંગ્રેસ માટે સુરત લોકસભામાં કશું કરવાનું રહેતું નથી. ઓલપાડ વિધાનસભામાં 61,578, સુરત પશ્ચિમમાં 77,882, કરંજમાં 35598, સુરત-ઉત્તરમાં 20,022, સુરત-પૂર્વમાં 13347, વરાછામાં 13998, કતારગામ વિધાનસભામાં ભાજપને 79,230 લીડ મળી હતી. સાતેય વિધાનસભા મળી ભાજપની લીડ 3,01,6,55 પર પહોંચે છે.
વિધાનસભાના ગણિતના આધારે કોંગ્રેસના માથા પર સુરત પશ્ચિમ અને કતારગામમાં બૂલડોઝર ફરી વળે છે. જોકે, વિધાનસભામાં સુરત પશ્ચિમમાં આ વખતે મુસ્લિમ ઉમેદવાર હોવાથી પણ ભાજપની લીડમાં તોતીંગ વધારો થયો હતો.
લોકસભામાં કોંગ્રેસ પાસે પાટીદાર પાવરનો મજબૂત વિકલ્પ છે. પાટીદાર સમાજના વોટ 2009માં ધીરુ ગજેરાને મળ્યા હતા પણ સુરત પશ્ચિમમાં પહોંચતા-પહોંચતા ધીરુ ગજેરા હાંફી ગયા હતા. ધીરુ ગજેરાએ 74 હજાર વોટથી જે માત ખાધી તેમાં સુરત પશ્ચિમનો ફાળો મોટો રહ્યો છે. પાટીદાર સમાજ સુરત પશ્ચિમમાં પણ છે. પાટીદાર ઉપરાંત કોંગ્રેસ પાસે મૂળ સુરતી વોટર્સનો આધાર નથી. જ્યારે મુસ્લિમ સમાજ અને દલિત સમાજનો આધાર મૂળ સુરતમાં કોંગ્રેસ પાસે રહ્યો છે. ઓલપાડમાં પણ કોળી અને કણબી પટેલો ભાજપની સાથે જ રહેતા આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આ વખતે પટેલ કાર્ડને ઉતારવામાં આવ્યો છે પણ ઓલપાડમાં સ્થિતિમાં ફેરફાર થવાની ઝાઝી શક્યતા જોવા મળી રહી નથી.
સુરત લોકસભાની સીટ ભાજપ માટે આમ આસાન છે પણ પાટીદાર, દલિત અને મુસ્લિમ કોમ્બિનેશન થાય તો ચૂંટણીમાં જંગ જામી શકે છે. આ ઉપરાંત મૂળ સુરતીઓ, કોળી, કણબી મતદારોને જે સૌથી વધુ પોતાની તરફ ખેંચી શકે તે ઉમેદવારનું નસીબ ચમકી શકે છે. છેવટે તો ભાજપ પાસે ટ્રમ્પ કાર્ડ પીએમ મોદીનું નામ છે જ. સામે કોંગ્રેસ વળતા જવાબમાં શું કરી શકે છે તે જોવાનું રહે છે.