બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાંથી છુટ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ એક બેઠકમાં હાજર રહેશે. આજે સાંજે 6 વાગ્યે થનારી સોમનાથ મંદિર ટ્રસ્ટની થનારી બેઠકમાં ત્રણ નેતાઓ ભાગ લેશે. આ બેઠક વીડિયો કોન્ફ્રેન્સીંગના માધ્યમથી થશે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત તમામ 32 આરોપીઓને સીબીઆઈ કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયા છે. કોર્ટમાંથી બહાર આવ્યાં બાદ લાલકૃષ્ણ અડવાણીની આ પહેલી બેઠક હશે.
PM મોદી, લાલકૃષ્ણ અડવાણી છે સોમનાથ મંદિર ટ્રસ્ટના સદસ્ય
સોમનાથ મંદિર ટ્રસ્ટ 8 સદસ્યોના ટ્રસ્ટી બોર્ડ છે. તેમાં હાલ 7 સદસ્ય છે. આ સાત સદસ્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના પૂર્વ મૂખ્યમંત્રી કેશુભાઈ પટેલ, લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, હર્ષવર્ધન નેવતિયા, પીકે લહેરી, જી ડી પરમારનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના વર્તમાન ચેરમેન કેશુભાઈ પટેલ છે. સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણમાં આવેલા 64 મંદિરોની દેખરેખ રાખે છે. આ સિવાય ટ્રસ્ટની પાસે 2000 એકર જમીન પણ છે. ટ્રસ્ટની બીજી જવાબદારી ફંડ એકત્ર કરવાની અને મંદિર સાથે સંબંધિત તમામ દેખરેખના કાર્યોનું સંચાલન કરવાની હોય છે.
શું છે સોમનાથ ટ્રસ્ટ
સોમનાથ ટ્રસ્ટ એક ધાર્મિક ચેરીટેબલ ટ્રસ્ટ છે. તે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ રજીસ્ટર્ડ છે. આ ટ્રસ્ટની પાસે સોમનાથ મંદિર, 64 અન્ય મંદિર, તેના ગેસ્ટ હાઉસનું ધ્યાન અને સારસંભાળ રાખવાનો અધિકાર છે. ટ્રસ્ટનું કામકાજ તેના ટ્રસ્ટી જોવે છે. ટ્રસ્ટીના બોર્ડમાં એક ચેરમેન અને સચિવ સહિત આઠ સદસ્ય હોય છે.