સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાર્ટીને રૂ. 163.62 કરોડની રિકવરી નોટિસ જારી કરવામાં આવી છે. દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી રૂ. 97 કરોડની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યાના એક મહિના બાદ આ રિકવરી નોટિસ જારી કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે માહિતી અને પ્રચાર નિર્દેશાલય (DIP) દ્વારા જારી કરવામાં આવેલી વસૂલાત નોટિસમાં રકમ પરના વ્યાજનો સમાવેશ થાય છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી 10 દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવે.
સૂત્રએ જણાવ્યું હતું કે, “જો AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ નિર્ધારિત સમયની અંદર રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હીના એલજીના અગાઉના આદેશ મુજબ સમયમર્યાદામાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ અંતર્ગત પાર્ટીની પ્રોપર્ટી પણ એટેચ કરી શકાશે.જો કે દિલ્હી સરકાર કે AAPએ આ નોટિસનો જવાબ આપ્યો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2017 સુધી 99,31,10,053 રૂપિયા (રૂ. 99.31 કરોડ) રાજકીય જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ રકમ પરના દંડના વ્યાજના હિસાબે બાકીની રકમ 64,30,78,212 (રૂ. 64.31 કરોડ) છે એટલે કે કુલ રકમ રૂ. 163.62 કરોડ છે.
સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી સરકારના ઓડિટ ડિરેક્ટોરેટે આવી તમામ રાજકીય જાહેરાતોનું ઓડિટ કરવા માટે એક વિશેષ ઓડિટ ટીમની પણ નિમણૂક કરી છે.
જ્યારે ડિસેમ્બરમાં LG દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી, ત્યારે AAPએ તેને પ્રેમ પત્ર ગણાવ્યો હતો. AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ઉપરાજ્યપાલે ભાજપના નિર્દેશ પર આ કર્યું છે. જેના કારણે દિલ્હીના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીની જનતાની ચિંતા જેટલી વધે છે તેટલી જ ભાજપ ખુશ થાય છે.
તેમણે કહ્યું હતું – દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસે કોઈ સત્તા નથી. તે આવી કોઈ સૂચના જારી કરી શકે નહીં. આ કાયદા હેઠળ નથી. અન્ય રાજ્યોની સરકારો પણ જાહેરાતો બહાર પાડે છે. ભાજપની ઘણી રાજ્ય સરકારોએ પણ જાહેરાતો બહાર પાડી હતી જે અહીં પ્રકાશિત કરવામાં આવી છે. અમે પૂછવા માંગીએ છીએ કે જાહેરાતો પાછળ ખર્ચવામાં આવેલા 22,000 કરોડ રૂપિયા તેમની પાસેથી ક્યારે વસૂલ કરવામાં આવશે? જ્યારે તેમની પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે તો અમે 97 કરોડ રૂપિયા પણ આપીશું.