દિલ્હી હાઈકોર્ટે AAP ના સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટી રાહત આપી છે. સરકારી બંગલા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, હાઈકોર્ટે પટિયાલા હાઉસ કોર્ટના તે આદેશને રદ કર્યો હતો, જેમાં રાજ્યસભા સચિવાલયે સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમનો હાલનો ટાઈપ-7 સરકારી બંગલો ખાલી કરવા પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. આ આદેશ બાદ સાંસદ રાઘવ ચઢ્ઢાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કોર્ટના નિર્ણયને સત્ય અને ન્યાયની જીત ગણાવી છે.
શું છે સમગ્ર મામલો?
સાંસદ રાઘવ ચઢ્ઢાને ગયા વર્ષે ટાઇપ-6 બંગલો મળ્યો હતો. સાંસદની વિનંતી પર, બાદમાં તેમને ટાઇપ-7 આવાસ ફાળવવામાં આવ્યા હતા. જો કે, રાજ્યસભા સચિવાલય દ્વારા આ વર્ષે માર્ચ મહિનામાં આ ફાળવણી રદ કરવામાં આવી હતી. જેની સામે રાઘવ ચઢ્ઢા કોર્ટમાં ગયા હતા. ટ્રાયલ કોર્ટે રાઘવને ઘર ખાલી કરાવવાની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂક્યો હતો. જોકે, પટિયાલા હાઉસ કોર્ટે 6 ઓક્ટોબરે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. આ નિર્ણય સામે રાઘવે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીની બેન્ચે આ મામલે તમામ પક્ષકારોની લાંબી સુનાવણી બાદ ગયા અઠવાડિયે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ચઢ્ઢાના વકીલે કહ્યું હતું કે તેમને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ વિરોધ પક્ષના સાંસદ છે. કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ ચડ્ઢાની વચગાળાની રાહત માટેની અરજી પર નિર્ણય ન લે ત્યાં સુધી આ સ્ટે અમલમાં રહેશે.
#WATCH | AAP MP Raghav Chadha says, “I want to thank the Delhi High Court from the bottom of my heart for setting aside a lower court order related to my government bungalow and giving its verdict in favour of me and justice…This is not a fight for home or shop but to save the… pic.twitter.com/DYalMIq9F6
— ANI (@ANI) October 17, 2023
રાઘવે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કોર્ટના નિર્ણયને સત્ય અને ન્યાયની જીત ગણાવી છે. તેમણે લખ્યું – “આ કોઈ ઘર કે દુકાનની લડાઈ નથી, પરંતુ બંધારણ બચાવવાની છે. આખરે સત્ય અને ન્યાયની જીત થઈ.” રાઘવે દિલ્હી હાઈકોર્ટના તેના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર કાઢવાના આદેશને રદબાતલ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.