પોરબંદર : એકતરફ કોરોનાનો કહેર, માથે આકરો તાપ ઓકતું આભ અને આ દરમિયાન જ સોરઠની ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં આજે (9 મે)ના રોજ બપોરે 3.30 વાગ્યા આસપાસ પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભૂકંપના આંચકા અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાં 4.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોરબદરમાં 5 થી 7 સેકન્ડ સુધી ધરા ધ્રૂજવાનો સ્થાનિકોએ અનુભવ કર્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જ ભૂકંપના આ આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જૂનાગઢના કેશોદ સહીત ગીર સોમનાથ જિલ્લામાં પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
નોંધનીય છે કે, ભુકંપનું એપી સેંટર માંગરોળથી 44 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે અને 11.8 ની ઉંડાઈએ ભુકંપનો આંચકો અનુભવાયો હતો. આ સાથે જ આ ભૂકંપને કારણે નુકસાનની હાલ કોઈ માહિતી સામે આવી નથી.