સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડીયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 3 કલાકમાં 9 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. જેને લઇ શહેરનાં માર્ગો નદીમાં પલટાઇ ગયા હતાં અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઇ ગયો હતો. અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થઇ જતાં લોકોએ પણ આવું દ્રશ્ય પ્રથમ વખત જોતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.પ્રાચલીનાં રસ્તાઓ પર વરસાદનાં પગલે નદી વહેતી થઈ હોય તેવુ દ્રશ્ય સર્જાયું હતું. તેમજ ઉનામાં ગત રાત્રે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમજ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. વરસાદને કારણ મગફળી અને કપાસના પાકને નુકસાન પહોચતા ખેડૂતોમાં ચિંતાજોવા મળી રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ ઉના પંથકમાં રાત્રિના વરસાદ બાદ વહેલી સવારથઈ જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ખાંભા પંથકમાં 1થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
સિહોરમાં પણ વહેલી સવારે 4 વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ચારેબાજુ પાણી પાણી થઇ ગયું છે. વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મવાળા ગીરના સિંગોડા ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ કોડીનાર બ્રિજ પર પાણી ફરી વળ્યું છે. આથી પોલીસ દ્વારા વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો.
તેમજ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા જવાના પુલ પર પાણી ફરી વળ્યા છે. ચોમાસામાં વારંવાર સંપર્ક વિહોણું બને છે. જીવના જોખમે ગામના લોકો પુલ ઓળંગી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.