પરિવારમાં છ વર્ષના બાળકથી લઈને ૩૩ વર્ષનો યુવાન મનોરોગી છે..
જો કે આ કિસ્સો મેડીકલ સાયન્સ માટે પણ ચેલેન્જ છે કારણ કે એક જ પરિવારની બે પેઢીમાં કુલ નવ લોકો મનોદિવ્યાંગ છે જયારે એમના મુળ મા બાપ નોર્મલ છે. આમ કઈ રીતે બની શકે એ ડોકટરો માટે યક્ષપ્રશ્ન અને સંશોધનનો મુદ્દો છે.
ગોંડલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા’ સન્ડે સ્લમ ડે’ મિશન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત તેઓ સ્લમ વિસ્તારમાં જઈ જરુરિયાત મંદોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે ત્યારે સાંઢિયા પુલ પાસે રહેતા રત્નાભાઇ પરમારના પરિવારના નવ મનોદિવ્યાંગ સદસ્યોને જોઈ’ સન્ડે સ્લમ ડે’ ના સદસ્યો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા.
રત્નાભાઈ નોર્મલ છે.પણ એના ર દિકરી અને એક દીકરો મનોદિવ્યાંગ છે. આ ઉપરાંત રત્નાભાઈના મોટા દિકરા અરજણભાઈ નોર્મલ છે. પણ એના ૩ દીકરા અને ૩ દીકરી મનોદિવ્યાંગ છે. આ બધા એક જ ઝુંપડામાં રહે છે. અને રત્નાભાઈના મોટા પુત્ર અરજણ અને અજય છુટક મજુરી કામ કરવા જાય છે. જયારે ઘરમાં રત્નાભાઈ અને એના પત્ની દુધીબેન મતલબ કે દાદા દાદી આ બધા નવેય જણાને સાચવવાનુ કામ કરે છે.
સરણીયા પરિવારના વૃદ્ધ દંપતી રત્નાભાઇ અને દુધીબેને જણાવ્યું હતું કે કબાલા એટલે પશુ લે-વેચનો વ્યવસાય સદંતર બંધ જેવો થઈ ગયો છે અને પરિવારમાં છ વર્ષથી લઈ ૩૩ વર્ષના જુવાનજોધ દીકરા મનો દીવ્યાંગ હોય કફેડી હાલત થઈ છે જેથી ફ્રજિયાત પણે વૃદ્ધ દંપતીને ભિક્ષાવૃત્તિ કરી સંતાનોના પેટ ભરવાની ફ્રજ પડી રહી છે.
મનો દિવ્યાંગોને સીંદરીથી બાંધવા અંગે વૃદ્ધ દંપતી એ જણાવ્યું હતું કે એક તરફ્ હાઈવે રોડ છે અને બીજી તરફ્ રેલવેનો ટ્રેક પસાર થતો હોય મનો દીવ્યાંગ ક્યારે ઝૂપડામાં થી ચાલી નીકળે તેનું નક્કી રહેતું નથી, તેઓની સાથે કોઈ અકસ્માત ન બને તે માટે ફ્રજિયાત સીંદરીથી બાંધવાની ફરજ પડી છે.
એ ઉપરાંત ઘણી વખત મનોદિવ્યાંગો આવેશમાં આવી જઈ લોકો પર પથ્થરોના ઘા પણ કરી બેસતા હોય છે જેના કારણે કોઈને ઈજા થઈ જાય તોપણ વાતનું વતેસર થઇ જાયછે માટે કાળજા પર પથ્થર રાખી સીંદરીથી જકડી રાખવાની ફ્રજ પડે છે.
આ બાબતે રાજકોટ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી આજે ગોંડલ આવી રહ્યા છે અને પરિવારને રાજય સરકારની શું મદદ મળી શકે એ માટે પ્રક્રિયા કરનાર છે.