રાજકોટ : આજે વિશ્વ આખું મધર્સ ડેની ઉજવણી કરી રહ્યું છે. તો બીજી તરફ રાજકોટની એક માતા ઉપર આભ તૂટી પડ્યા જેવી ઘટના બની છે. અહીં થોડા દિવસ પહેલા એક પિતાએ પુત્ર અને પુત્રી સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાશ કર્યો હતો. ત્યારબાદ પુત્ર અને પછી પિતાનું મોત નીપજ્યું હતું. હવે પુત્રીનું પણ સારવાર દરમિયાન મોત થતાં મધર્સ ડેના દિવસે જ પરિવારની અંતિમ સભ્ય એવી પુત્રીને પણ માતાએ ગુમાવી હતી. જોકે, આ ઘટનામાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરનાર બે આરોપી પૈકી એક દિલીપ કોરાટ ઝડપાયો હતો.
મળતી માહિતી પ્રમાણે હજુ તો લાબડીયા પરિવારનો બે આરોપીઓ પૈકી એક આરોપી દિલીપ કોરાટ ઝડપાયાને ગણતરીના જ કલાકો જ થયા હતા ત્યાં દીકરી કૃપાએ સારવાર દરમિયાન પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. લાબડીયા પરિવારે જે મકાન વેચવા કાઢયું હતું તે મકાન દીકરા અને દીકરીના લગ્ન અર્થે વહેંચવા કાઢ્યું હતું. પરંતુ હવે આ સંસારમાં ન દીકરી રહી કે દીકરો. ત્યારે લાબડીયા પરિવારના અંતિમ સભ્ય એવા જયશ્રીબેનના માથે જાણેકે મસમોટા દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.
પ્રથમ વ્હાલસોયા એવા પુત્ર અંકીતનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. ત્યારબાદ ભવો ભવ ના ભરથાર એવા કમલેશભાઈ લાબડીયા નુંમૃત્યુ નીપજયું હતું. ત્યારે આજે અંતમાં માતા માટે જીવવાની આશ તરીકે બચેલી દીકરી કૃપા નું પણ મોત નિપજ્યું છે. ગત 3 એપ્રિલના રોજ શિવમ પાર્ક શેરી નંબર 2 માં વિધાતા નામના મકાનમાં કમલેશભાઈ લાબડીયા નામના વ્યક્તિએ પોતાના પરિવારના સભ્યોને કોરોના નહીં થાય તેમ કહી ઝેરી દવા આપી હતી. જે ઝેરી દવા પ્રથમ કમલેશભાઈ લાબડીયા એ પીધી હતી અને ત્યાર બાદ તેમના પુત્ર અને પુત્રીએ પીધી હતી.
દવા પીવાના કારણે પિતા પુત્ર અને પુત્રીને ત્રણેયને ઊલટી શરૂ થતા માતા જયશ્રીબેન દવા પીવાનું ટાળ્યું હતું. ઝેરી અસર પહોંચતા પિતા પુત્ર અને પુત્રીને શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઇમરજન્સી વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે પુત્ર અંકીત મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કે તેના બાદ તેના પિતા કમલેશભાઈ લાબડીયા ના મૃત્યુ નીપજયું હતું.
પુત્ર અંકીતનું મૃત્યુ નિપજતા માતા જયશ્રીબેનની ફરિયાદ પરથી બેભાન હાલતમાં રહેલા કમલેશભાઈ વિરુદ્ધ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે કમલેશભાઈના પત્ની જયશ્રીબેન અને કમલેશભાઈના ભાઈ કાનજીભાઈએ દિલીપ કોરાટ અને વકીલ આર.ડી. વોરા અંગે મકાન પચાવી પાડવાના આક્ષેપ કર્યા હતા. તો પોલીસને પણ કમલેશભાઇ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
કમલેશભાઈ એક કર્મકાંડી બ્રાહ્મણ હોય જેના કારણે કર્મકાંડ કરતા બ્રાહ્મણો દ્વારા કમલેશભાઈના હત્યારાઓ તાત્કાલિક અસરથી પકડાય તેમ જ કમલેશભાઈ અને તેમના પરિવારને તાત્કાલિક ન્યાય મળે તે માટેની માગણી પણ કરવામાં આવી હતી. ત્યારે બ્રહ્મસમાજ આક્રમક બનતા તાલુકા પોલીસ દ્વારા આરોપી દિલીપ કોરાટ અને વકીલ આર ડી વોરા વિરુધ્ધ આઈપીસીની કલમ 306, 406, 387, 114, 120b અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.