રાજકોટઃ રાજકોટમાં બજારમાં ઘઉ લેવા ગયેલા માતા-પિતા જ્યારે પોતાના ઘરે પરત ફરે છે ત્યારે ઘરનો દરવાજો ખોલતા જે દ્રશ્ય જોયું તેનાથી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા-પિતાએ પોતાની લાડકવાઈ દીકરીને ફંદામાં લટકતી જોઈ આભ તૂટી પડ્યું હતું. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય દીકરીએ પોતાના ઘરે જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીના માતા-પિતા ઘઉં લેવા બહાર ગયા હતા. તે દરમિયાન ઘરે એકલી રહેલી યુવતી ઉપરના રૂમમાં જઈ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતાપિતા ઘરે પરત આવ્યા ત્યારે પોતાની વ્હાલસોયી દીકરીને લટકી જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદમાં પરિવારજનો દ્વારા 108ને જાણ કરતા 108ની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ત્યાં સુધી દીકરીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
મૃતક યુવતી એક ભાઇ અને એક બહેનમાં મોટી હતી. પિતા રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. યુવતીએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં રાજકોટ શહેરના સંત કબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને પત્ની પાસેથી 500 રૂપિયા લઇ હમણાં આવું છું કહી નીકળ્યા બાદ બિલેશ્વર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો છે.
બનાવની જાણ થતાં સ્ટેશન માસ્તરે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેના પગલે કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક યુવાનના ખિસ્સામાંથી મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ મળી આવ્યા હતા.
મૃતકના મોબાઇલ નંબરના આધારે સંપર્ક કરતા મૃતક યુવાનનું નામ ઈકબાલભાઈ સંધાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઈકબાલના પરિવારજનોને જાણ કરતાં ઇકબાલની પત્ની સહીતના પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
જાણવા મળ્યા મુજબ મૃતક ઈકબાલ ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાત વર્ષ પહેલા તેના પ્રેમ લગ્ન થયા હતા. ઈકબાલે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું છે તે અંગે હાલ પોલીસ તપાસ શરૂ છે.