રાજકોટ શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ અસામાજિક તત્વો દ્વારા આતંકનો એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાવડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શ્રીજી પાન નામની દુકાનને બંધ કરાવવા માટે અસામાજિક તત્વો જે રીતે આતંક મચાવી રહ્યા છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. તે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે તાલુકા પોલીસે ચાર વ્યક્તિઓ સામે આઈપીસીની કલમ 323, 324, 504, 506(2) અને 114 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલીપસિંહ કાળુભા સોલંકી ગરાસિયા દરબારમાં પોતાની દુકાને હતા. દરમિયાન બપોરે 1.30 વાગ્યે ચેતન રાઠોડ, કુલદીપ વાઢેર, ગટ્ટો ત્યાં આવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ ચેતન રાઠોડે ‘તમે દુકાન બંધ કરો’ કહી માર મારવાનું શરૂ કર્યું હતું. જ્યારે મેં તેને ગાળો આપવાની ના પાડી તો તેણે મને મારવાનું શરૂ કર્યું. તેણે માર મારી ઇજા પહોંચાડી હતી અને મને તાત્કાલિક અસરથી ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મને સાત ટાંકા પણ આવ્યા હતા.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે ચેતન રાઠોડે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ગુસ્સામાં તેને પાછળના ભાગેથી ડાબી બાજુએ માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ કુલદીપ વાઢેરે તેને લાકડાની લાકડી વડે માર માર્યો હતો. તે જ સમયે ગટ્ટો અને તેની સાથે રહેતા અજાણ્યા શખ્સોએ મારી સાથે મારપીટ કરી હતી. આમ ચારેય શખ્સોએ ટોળકી બનાવી મને શારીરિક-માનસિક ઇજાઓ પહોંચાડી હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ચારેય શખ્સ ફરિયાદીને માર મારી રહ્યા છે. આ સિવાય એક વ્યક્તિના હાથમાં છરી અને બીજા હાથમાં છરી જેવું તિક્ષ્ણ હથિયાર પણ નજરે પડે છે. અથડામણ ટાળવા માટે દુકાનદાર દુકાનના શટર અંદરથી બંધ કરી દે છે. જોકે હુમલાખોરોએ બળજબરીથી શટર ખોલી દુકાનદારને માર માર્યો હતો.