રાજકોટઃ રાજ્ય અને દેશમાં આત્મહત્યાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે રાજકોટમાં એક અજીબોગરીબ આત્મહત્યાની ઘટના સામે આવી છે. અહીં જન્મદિવસે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી પરિવારજનો અને વિસ્તારમાં લોકો દંગ રહી ગયા હતા. રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આરટીઓ નજીક ક્વાર્ટરમાં રહેતા મૌલિકાબેન વિપુલભાઈ પાડલીયાએ સાંજના સમયે પોતાના ઘરે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે મહિલાએ ખરેખર આ વાતને લઈને જ આપઘાત કરી લીધો છે કે આપઘાત પાછળ બીજું કોઈ કારણ છે?
પોલીસ તપાસ પ્રમાણે શિવમ ટેક્નોલોજી નામની સીસીટીવીની ઓફિસમાં નોકરી કરતાં પ્રફુલભાઈ સાથે પાંચ વર્ષ પૂર્વે મૌલિકાબેના લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો છે. મૃતક મૌલિકાબેન કાલાવડ રોડ ઉપર આવેલા પાર્લરમાં નોકરી કરતા હતા. હાલ મીની લૉકડાઉન હોવાથી ઘર કામ કરતા હતા.
પોલીસની વધુ પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૌલિકાબેનનો જન્મદિવસ હોવાથી ગત રાત્રિએ તેનો પતિ વિપુલ તેના માટે કેક લઇને આવ્યો હતો. પરંતુ તેનો દિયર કોઈ કામેથી આવીને થાકીને સૂઈ ગયો હતો. જે બાબતે પતિ અને દિયર વચ્ચે ઝઘડો થતાં મારા કારણે ઘરમાં ઝઘડો થયો હોવાનું માનીને પરિણીતાએ આ પ્રકારનું પગલું ભરી લીધું હોવાનો દાવો પરિવારના લોકોએ કર્યો હતો.
આપઘાતના બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી આડોશ-પાડોશના લોકોના નિવેદન પણ નોંધ્યા હતા.
ખરા અર્થમાં મૌલિકાબેને પરિવારજનો કહી રહ્યા છે તે કારણોસર આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે કે પછી આપઘાત કરવા પાછળનું બીજું કોઈ કારણ છે તે અંગે હાલ બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે.