રાજકોટ : કહેવાતા ભદ્ર સમાજમાં પણ પરિણીતાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં બનતી હતી. અહીં સરોગસી માટે દબાણ કરી પત્નીને આપઘાત માટે મજબુર કરનાર પતિ સામે કુવાડવા પોલીસ મથકમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ત્યારે ડેન્ટિસ્ટ પતિની ધરપકડ કરવા માટે કુવાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ નજીકના કુવાડવા ગામ માં રહેતી ડેન્ટિસ્ટ મહિલાને તેના પતિ દ્વારા સરોગસીથી સંતાન પ્રાપ્ત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. ત્યારે પતિના ત્રાસથી કંટાળીને આખરે ડેન્ટિસ્ટ પરિણીતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
સમગ્ર મામલે પીએસઆઇ બ્રિજેશ મેઘલાતર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપઘાત કરનાર ડેંટીસ્ટ સૈયાઝ પરવીન મૂળ અંકલેશ્વરના વતની હતા વર્ષ 2016માં મૂળ મોરબીના અને હાલ કુવાડવા ગામ માં રસ્તા ડેન્ટિસ્ટ મહંમદ હુસેન બાબુભાઈ જુનાણી સાથે થયા હતા. સૈયાઝ પરવીને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અંકલેશ્વર રહેતા તેના પરિવારજનો રાજકોટ આવ્યા હતા.
ત્યારે કુવાડવા પોલીસ ને મૃતક ના માતાએ જણાવ્યું હતું કે, તેની પુત્રીને તેમનો જમાઈ છેલ્લા બે વર્ષથી નાની નાની બાબતોમાં ત્રાસ આપતો હતો તેની સાથે ઝઘડા કરતો હતો. તેણીની પુત્રી ને સંતાન થતુ ન હોવાના કારણે તે મુદ્દે પણ અવારનવાર જમાઈ તેને હેરાન પરેશાન કરતો હતો.
એક વર્ષ પૂર્વે તેની પુત્રીએ આઈવીએફ કરાવ્યું હતું. જેના કારણે તેની પુત્રીને છ માસ ગર્ભ પણ રહ્યું હતું. પરંતુ તે સમયે તેને દુખાવો ઉપડતા બાળકને કઢાવવું પડ્યું હતું. બીજી વાર પણ આઈવીએફ મિસ થઈ જતા અને સંતાન પ્રાપ્ત ન થતાં જમાઈ એ હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
એટલું જ નહીં જમાઈએ મારી પુત્રીને સરોગસી થી સંતાન પ્રાપ્ત કરવા માટે પણ દબાણ કરતો હતો પરંતુ આ માટે મારી પુત્રી સહમત ન થતા જમાઈ દ્વારા ખૂબ જ ત્રાસ આપી તેને હેરાન પરેશાન કરવામાં આવતા મારી પુત્રીએ આખરે કંટાળી આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસના પીએસઆઇ બ્રિજેશ મેઘલાતર દ્વારા આરોપી પતિ સામે આઈપીસીની કલમ 306 498 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.