રાજકોટ: રાજકોટ શહેરમાં આત્મહત્યાની ચકચારી ઘટના બની હતી. એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલા પેરામાઉન્ટ પાર્કમાં રહેતા મિકેનિકલ એન્જિનિયર હર્ષદ નામના 25 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પેરામાઉન્ટ પાર્ક શેરી નંબર-3માં મકાન ભાડે રાખી હર્ષદ જગદીશભાઈ કનોજીયા નામનો 25 વર્ષીય યુવાન રહેતો હતો. હર્ષદ ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવતા તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.
તાત્કાલિક અસરથી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને હર્ષદ મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં યુનિવર્સિટી પોલીસ પણ બનાવના સ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારને દીકરાના આપઘાત મામલે જાણ કરતા પરિવારજનો રાજકોટ આવી પહોંચ્યા હતા.
આપઘાતના બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું હતું કે, “હું સારો દીકરો બની શક્યો નહીં, સારૂ કમાઈ પણ ન શક્યો હોવાથી આ પગલું ભરું છું.” મૃતક હર્ષદ રાજકોટમાં તેના એક સંબંધીના પુત્ર સાથે રૂમ ભાડે રાખીને રહેતો હતો. હર્ષદ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પૂર્વે રાજકોટ શહેરના અંકુર નગર મેઇન રોડ ઉપર શિવ પ્રોવિઝન સ્ટોરની સામે રહેતા જ્યોત્સનાબેન કાનજીભાઈ લોખીલ નામના મહિલાએ ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. જ્યોત્સના બેનના પતિ રાજકોટ શહેર પોલીસમાં SI તરીકે ફરજ બજાવે છે. ગળાફાંસો ખાતા પહેલા જ્યોત્સના બેને ફોન કરીને કહ્યું હતું કે, “હું કંટાળી ગઈ છું, હું જાઉં છું “.
એક અઠવાડિયા પહેલા રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનામાં રહેતા જશુબેન ચંદુભાઈ ગોહિલ નામના 50 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં આપઘાત કરવા પાછળનું કારણ બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.