રાજકોટઃ રાજકોટ શહેરમાં એક કરુણ ઘટના બનવા પામી છે. અહીં એક જ પરિવારના પિતા-પુત્રી-પુત્રએ ઝેરી દવા પીધી હતી. જોકે ત્રણેની હાલત ગંભીર થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું હતું. જેના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતાએ પોતાના બંને પુત્ર અને પુત્રીને કોરોનાની દવા કહીને ઝેર પીવડાવી દીધું હતું.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના નાનામોવા રોડ પર શાસ્ત્રીનગર સામેના શિવમ પાર્ક શેરી નંબર 2 માં વિધાતા નામના મકાનમાં રહેતા કર્મકાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા કમલેશભાઈ રામકૃષ્ણ ભાઈ લાબડીયાએ રાત્રિના સમયે પુત્ર અંકીત લાબડીયા અને પુત્રી કૃપાલી લાબડીયાને કોરોના ની દવા છે તેમ કહી ઝેરી દવા પીવડાવી હતી. તો પુત્ર અને પુત્રી પહેલા પોતે પણ ઝેરી દવા પીધી હતી. દવા પીધા બાદ પિતા પુત્ર અને પુત્રીને ઉલટી થવા માંગતા પત્નીએ દવા પીવાનું ટાળ્યું હતું.
ત્યારે ઝેરી દવા પીવાના કારણે ગંભીર અસર પહોંચતા સારવાર અર્થે પિતા પુત્ર અને પુત્રીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવની જાણ તાલુકા પોલીસને થતાં તાલુકા પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને કમલેશભાઈ લાબડીયા નું નિવેદન નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કમલેશભાઈ લાબડીયા બેભાન હોય જે કારણોસર તેમનું નિવેદન હજુ સુધી નોંધી શકાયું નથી.
ચીઠ્ઠીમાં શું લખ્યું? તાલુકા પોલીસે કમલેશભાઈ પાસેથી એક સુસાઇડ નોટ પણ કબજે કરી છે. જે સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે સૌને જય શ્રી કૃષ્ણ, મારા મરવાનું કારણ વોરા તથા દિલીપ કોરાટ જેણે મારું મકાન લઈ લીધું અને 65 લાખ રૂપિયાનો ખોટો મારી ઉપર આરોપ મુકેલ. મારી પાસે અત્યારે 5000 રૂપિયા પણ નથી કાર અને મકાનના ચાર જેટલા હપ્તા પર ચડી ગયા છે. મારા બે કરોડ અને 12 લાખ દિનેશ અને ભાવિન લઈને જતા રહ્યા છે ત્યારથી મારી મૂંઝવણ વધી ગઈ છે.
ત્યારે હાલ કમલેશભાઈના ભાઈ કાનજીભાઈ તેમજ પત્ની જયશ્રીબેન દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે આક્ષેપોમાં કેટલી તથ્યતા છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તેમજ કમલેશભાઈના ભાનમાં આવ્યા બાદ જ પોલીસ તેમનું નિવેદન લેશે અને ત્યારબાદ કયા પ્રકારનો કઈ કલમ હેઠળ ગુનો નોંધી શકાય તેમ છે તે અંગે પોલીસ વિચારણા કરી ગુનો નોંધશે. પોતાના પુત્ર અને પુત્રીને કોરોના નામે ઝેરી દવા પીવડાવવાના બદલ કમલેશભાઈ વિરુદ્ધ પણ ગુનો દાખલ થઈ શકે તેમ છે.