રાજકોટઃ રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં માત્ર ચાર દિવસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલી યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હજીતો હાથોની મહેંદીનો રંગ ઉડ્યો નથી તો પૂર્વે જ નવોઢાએ પોતાનું જીવન ટૂંકાવી દુનિયાને અલવિદા કહ્યું હતું.
રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ ઉપર આવેલા ઓમ નગર શેરી નંબર 2 માં રહેતી માનસી બેન ભાવિન ભાઈ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
ભાભીએ આપઘાત કરી લીધાની જાણ સૌપ્રથમ તેમના નણંદને થઈ હતી. ભાભીની લાશ લટકતી જોઈ નણંદે દેકારો મચાવી દેતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. એકઠા થઇ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક અસરથી માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ ફરજ પર હાજર રહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
જેના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીથી બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાલુકા પોલીસને જાણ થતા જ પીએસઆઇ મોરવાડિયા સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક માનસીના માતા-પિતા રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા અમરનગર માં રહે છે. લગ્ન બાદ તે પોતાના પતિ સાસુ-સસરા સાથે તેમજ નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
સવારે પિતા સાથે ગોંડલ રોડ ઉપર સૂર્યકાંત હોટલ પાસે રહેતા સંબંધીને ત્યાં ખબર કાઢવા પણ આવી હતી. જોકે ત્યાંથી નીકળ્યા બાદ ઓમ નગર પોતાના ઘરે ગયા બાદ તેને આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ત્યારે કયા કારણોસર નવોઢાએ આત્મહત્યા કરવાની ફરજ પડી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ચાર દિવસ પહેલા લગ્ન કરેલી યુવતીએ શા માટે આત્મહત્યા કરવાની ફરજ પડી તે અંગે હાલ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.