મારૂતિ કૂરિયરના ચેરમેન રામભાઈ મોકરીયાની આજે 28મી તારીખે 41મી લગ્નની વર્ષગાંઠ છે. જ્યારે તેમના પુત્ર અને મારૂતિ કૂરિયરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને રામભાઈના પુત્ર મૌલિક મોકરીયાની લગ્નની ત્રીજી વર્ષગાંઠ છે. આ ઉપરાંત રામભાઈના મોટા પુત્ર અને એમડી અજય મોકરીયાની પહેલી માર્ચે આઠમી લગ્ન વર્ષગાંઠ છે. પિતા અને પુત્રોએ પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી નહીં કરી અને 14મી ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારજનોની વહારે આવવાનુ નક્કી કર્યું.
મારૂતિ કૂરિયરના જોઈન્ટ એમડી મૌલિક મોકરીયાએ જણાવ્યું કે મેરેજ એનીવર્સરીની ઉજવણી કરવાના બદલે શહીદ જવાનોનાં પરિવારજનોને મદદરૂપ થવા માટે નક્કી કર્યું અને શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય મળી શકે તે માટે રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાને 11,11,111 રૂપિયાનો ડ્રાફટ ચેક અર્પણ કરવામાં આવ્યો છે. આ રકમ સીઆરપીએફ શહીદ જવાનોના પરિવારજનોને આપવામાં આવશે. સીઆરપીએફ વાઇવ્ઝ વેલ્ફર એસોસિએશનના નામે ચેક આપવામાં આવ્યો હતો.
ચેક અર્પણ કરતી વેળા રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તા, મારૂતિ કૂરિયરના ચેરમેન રામભાઈ મોકરીયા અને જોઈન્ટ એમડી મૌલિક મોકરીયા હાજર રહ્યા હતા. મારૂતિ કૂરિયર દ્વારા આ ઉપરાંત કંપનીના 7500 જેટલા સ્ટાફને પણ શહીદ જવાનોના પરિવારજનોને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની જેમ મદદ કરવા અપીલ કરવામાં આવી છે. હવે પછી પણ જે કંઈ પણ ફંડ આવશે તે પણ શહીદ જવાનોના પરિવારજનોને આપવામાં આવશે.