ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘ સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(69) રાજકોટ શહેર પશ્ચિમ વિધાનસભા બેઠક
સૌરાષ્ટ્રના રાજકારણનું પાટનગર ગણાતા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક ગુજરાતની અત્યાર સુધીની સૌથી વધારે VIP બેઠકોમાંની એક ગણી શકાય.
આ બેઠક પર રાજ્યના અત્યાર સુધીના ત્રણ મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી ચુંટણીઓ લડીને જીત્યાં છે.
શું છે આ સિટનો રાજકીય ઈતિહાસ :
ભારતીય જન સંઘની સ્થાપના બાદની ચુંટણીમાં પાટીદાર નેતા કેશુભાઈ પટેલ આ બેઠક પર ચૂંટણી જીત્યા હતાં,
રાજ્યના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા આ સીટ પરથી અનેક વાર જીતી ચૂક્યા છે, જ્યારે 2002 માં નરેન્દ્ર મોદીએ પ્રથમ ચુંટણી લડી ત્યારે વજુભાઈ વાળાએ તેમના માટે આ સીટ ખાલી કરેલી, ત્યારબાદ 2017માં વિજયભાઈ રૂપાણી આ સીટ પરથી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા.
આ બેઠક ભાજપ માટે રાજ્યમાં સૌથી વધારે સુરક્ષિત સીટોમાંની એક સીટ માનવામાં આવે છે.
ગત વિધાનસભાની ચુંટણીમાં સિટિંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સામે કોંગ્રેસના દિગ્ગજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ ઉમેદવારી નોંધાવી હતી, તે સમયે આ સીટ રાજ્યની સૌથી વધુ ચર્ચિત બેઠક બની હતી.
શું છે અહીંના પ્રશ્નો.
છેલ્લા કેટલાય વર્ષોથી રાજકોટ શહેર વિકાસની અનેક ઉંચાઈઓ સર કરી છે, તેમ છતાં સ્થાનીય લોકોના અમુક એવા પ્રશ્નો છે જેનું હજી સુધી પૂરી રીતે નિરાકરણ આવી શક્યું નથી,
ખાસ કરીને પાણીની અગવડતા એ શહેરવાસીઓ માટે મોટો પ્રશ્ન છે, ખાસ કરીને ઉનાળાના સમયે અમુક વિસ્તારોમાં પાણીની પડતી હાલાકી લોકોને મુશ્કેલીમાં નાખે છે, ઉપરાંત વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણના પ્રશ્નો પણ મુખ્ય છે.
કેવું છે જ્ઞાતિઓ નું ગણિત.
આ બેઠક મૂળભૂત રીતે સવર્ણ મતદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક છે, અહીં ભૂતકાળમાં હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના જીતતા આવ્તા હતાં.
આ ઉપરાંતં સૌથી વધુ એટલે કે લગભગ 23 ટકા મતદારો પાટીદાર સમાજમાંથી છે.
પાટીદારો ઉપરાંત રાજકોટ પશ્ચિમમાં 12 ટકા બ્રાહ્મણ મતદારો, 10 ટકા વણિક સમાજના મતદારો અને 11 ટકા લોહાણા સમાજના મતદારોના છે.
રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે, જેમનો મૂળભૂત રીતે ઝુકાવ આજ દિવસ સુધી ભાજપ તરફી રહ્યો છે.
હાલમાં આ બેઠક પરની રાજનૈતિક પરિસ્થિતિ
રાજકોટ પશ્ચિમની બેઠક પર હાલમાં વિજયભાઈ રૂપાણી ધારાસભ્ય છે, એક વર્ષ પહેલાં જે રીતે રાજ્યમાં ભાજપે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલીને યુવા ચહેરાઓને સ્થાન આપ્યું છે તે જોતાં ભાજપના લગભગ દરેક જૂના કાર્યકર્તાઓ આ ચુંટણીમાં ઉમેદવારી નહિ નોંધાવે તેવું જણાઈ આવે છે.
રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાંથી અનેક સંભવિત ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને હાલના શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, કષ્યપભાઈ શુક્લ, તેમજ પૂર્વ મેયર જનકભાઈ કોટક સહિતના નેતાઓ ઉમેદવારી નોંધાવી શકે છે.
બીજી બાજુ કોંગ્રેસ માટે આ બેઠક હંમેશાથી નિરાશાજનક રહી છે, ઉપરથી પાર્ટીના નેતાઓના પક્ષપલટાથી સ્થાનિક કાર્યકર્તાઓનું મનોબળ ખૂબ નીચું ગયું છે, છેલ્લે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાલમાં જ આપ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે શક્ય છે કે કોંગ્રેસ તરફથી કોઈ નવો જ ચહેરો આ બેઠક પર ઉમેદવારી નોંધાવે.
આ સાથે નવી ઉભરી રહેલી આમ આદમી પાર્ટી માટે આ બેઠક જીતવું હજી આસન નથી, પાયાનું સંગઠન હજી આપ પાર્ટી પાસે જોઈએ તેટલું સક્ષમ નથી.
જોવાનું રહેશે કે ભાજપ પોતાની આ સૌથી વધુ સુરક્ષિત સીટને કઈ રણનીતિથી બચાવવા માટે મહેનત કરશે.
© SatyaDay Daily