નવી દિલ્હીઃ દેશ આખો કોરોનાના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાનો વિસ્ફોટ થવાનું શું કારણ છે એ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય ડોક્ટર વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કારણ આપવાની સાથે સાથે આ સ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું કે દેશમાં અચાનકથી કોરોના વિસ્ફોટની પાછળ સૌથી મોટું કારણ છે તેનું નવું વેરિયન્ટ. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા મુજબ આ વેરિયન્ટ વધુ સંક્રામક અને જીવલેણ છે. તેઓએ કહ્યું કે તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય વેક્સીનેશન છે. ભારતને તેમાં તેજી લાવવાની જરૂર છે.
સમાચાર એજન્સી AFPને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ભારતમાં તબાહી એ વાતનો સંકેત છે કે કોરોનાનો નવો વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. નોંધનીય છે કે, દેશમાં શનિવારે પહેલી વાર એક દિવસમાં 4 હજારથી વધુ લોકોનાં મોત થયા, જ્યારે છેલ્લા ચાર દિવસોથી દરરોજ કોરોનાના નવા 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
ડૉક્ટર સ્વામિનાથનના જણાવ્યા મુજબ, કોરોનાનો નવો વેરિયન્ટ B.1.617 ખૂબ ખતરનાક છે. આ વેરિયન્ટ ઓક્ટોબરમાં પહેલી વાર ભારતમાં મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ આ વેરિયન્ટ રોજ લાખો લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે. સ્વામીનાથન મુજબ આ વેરિયન્ટ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાનો આ નવો વેરિયન્ટ પોતાના પહેલા રૂપથી અનેક ગણો વધારે ખતરનાક છે અને ખૂબ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે.
સ્વામીનાથને કહ્યું કે, વધુમાં વધુ લોકોને વેક્સીન આપવામાં આવે ત્યાં સુધી આપણે કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરવો પડશે. ભારત હવે આ મહામારી પર કાબૂ મેળવવા માટે વેક્સીનેશન પર ભાર મૂકી રહ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે દુનિયામાં સૌથી વધુ વેક્સીન બનાવનારા દેશે 1.3 અબજથી વધુ વસ્તીવાળા દેશમાં લગભગ 2 ટકા લોકોને જ વેક્સીન આપવામાં આવી છે.
તેઓએ કહ્યું કે, અમેરિકા અને બ્રિટન જેવા દેશ આ વેરિયન્ટને ગંભીરતાથી લઈ રહ્યા છે અને મને આશા છે કે WHO ટૂંક સમયમાં તેની પર કોઈને કોઈ નિયમ બનાવશે. આ વેરિયન્ટ એટલો ખતરનાક છે કે તે શરીરમાં એન્ટીબોડી બનાવવાની પ્રક્રિયાને રોકે છે અને ખૂબ ઝડપથી મ્યૂટેટ કરે છે.