ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકાર્યાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આધુનિક ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેનોમાંના એક કોહલી પર લગભગ 6 વર્ષમાં પ્રથમ વખત મોટો રેકોર્ડ ગુમાવવાનો ભય છે. કોહલી વિશ્વનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેની ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને ટેસ્ટ)માં 50 પ્લસની એવરેજ છે. પરંતુ વિરાટના તાજેતરના કથળતા ફોર્મને કારણે તેનો ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ જોખમમાં મુકાયો છે.
જો 33 વર્ષીય વિરાટ કોહલી 12 માર્ચથી શરૂ થઈ રહેલી શ્રીલંકા (ભારત વિરુદ્ધ શ્રીલંકા) સામેની બીજી ટેસ્ટ મેચમાં 42 કે તેથી ઓછો સ્કોર કરે છે, તો તેની ટેસ્ટ એવરેજ લગભગ 6 વર્ષમાં પ્રથમ વખત 50થી નીચે આવી જશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડે-નાઈટ રમાશે. હાલમાં વિરાટની ટેસ્ટમાં સરેરાશ 50.35 છે. વિરાટને ટેસ્ટમાં સદી ફટકારતા 838 દિવસ થયા છે.
કોહલીએ તેની છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ડે નાઈટ ટેસ્ટમાં ફટકારી હતી. જ્યારે વિરાટે તેની 70મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ત્યારે તેની ટેસ્ટ બેટિંગ એવરેજ 54.97 હતી. ત્યારપછી કોહલીની સરેરાશમાં ઘટાડો થયો છે.
કારકિર્દીની 52મી ટેસ્ટમાં વિરાટે વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે 50ની એવરેજ હાંસલ કરી હતી. ત્યાર બાદ તેણે પ્રથમ દાવમાં 235 રનની ઇનિંગ રમી હતી. વર્ષ 2019માં, કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે પુણે ટેસ્ટ મેચમાં 254 રનની ઇનિંગ રમીને 55.10ની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બેટિંગ એવરેજ હાંસલ કરી હતી. પરંતુ ધીમે ધીમે વિરાટની એવરેજ નીચે જઈ રહી છે. શ્રીલંકા વિરૂદ્ધ મોહાલી ટેસ્ટના પ્રથમ દાવમાં કોહલી 45 રન બનાવીને આઉટ થયો હતો.
ટેસ્ટમાં વિરાટ કોહલીની બેટિંગ એવરેજ 50.35 છે જ્યારે વનડેમાં આ અનુભવી બેટ્સમેને 58.07ની એવરેજથી રન બનાવ્યા છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની એવરેજ 51.50 છે