આ વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનાર એશિયા કપનો મામલો ઉકેલાઈ ગયો હોય તેમ લાગે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ એશિયા કપ પોતાના દેશમાં યોજવા અને ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને રમાડવા માટે એક નવી યોજના બનાવી છે. આ પ્લાન મુજબ ભારતીય ટીમે ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન પણ નહીં જવું પડે.
વાસ્તવમાં એશિયા કપ 2023ની સીઝન માત્ર પાકિસ્તાનમાં જ થઈ શકે છે. જ્યારે ભારતીય ટીમ પોતાની મેચ અન્ય કોઈ દેશમાં રમશે. એશિયા કપ યોજવા માટે PCBએ આ ઉપાય શોધી કાઢ્યો છે. ભારતીય ટીમ UAE, ઓમાન, શ્રીલંકા અથવા ઈંગ્લેન્ડમાંથી કોઈપણ એક દેશમાં તેની મેચ રમી શકશે.
ભારતીય ટીમની મેચો પાકિસ્તાનની બહાર થશે
એશિયા કપને લઈને ટીમ ઈન્ડિયાની મેચનું સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ભારતીય ટીમની મેચનું સ્થળ નક્કી કરવા માટે તે દેશના હવામાનનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાવાનો છે. આવી સ્થિતિમાં, યુએઈમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં, તાપમાન સામાન્ય રીતે 40 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહે છે. જો કે આવી સ્થિતિમાં પણ ક્રિકેટ ત્યાં જોરદાર રીતે રમાય છે. આઈપીએલ 2021 સીઝન પણ અહીં સપ્ટેમ્બરના અંતમાં રમાઈ હતી. 2021 T20 વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડની કેટલીક મેચો ઓમાનની રાજધાની મસ્કટમાં પણ થઈ છે, ઈંગ્લેન્ડ પણ સારો વિકલ્પ બની શકે છે.
એશિયા કપમાં આ વખતે કુલ 13 મેચ રમાશે.
આ વખતે પણ એશિયા કપમાં માત્ર 6 ટીમો જ ભાગ લેશે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ક્વોલિફાયર ટીમ હશે. આ તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપ સ્ટેજ હેઠળ 6 ટીમો વચ્ચે કુલ 6 મેચો રમાશે.
આ પછી, બંને જૂથમાંથી ટોપ-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઇનલમાં રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ 4 ટીમો વચ્ચે કુલ 6 મેચો રમાશે. આ પછી, બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને તેમની વચ્ચે ટાઇટલ મેચ રમાશે. આ રીતે એશિયા કપ 2023માં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાવાની છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ શકે છે
આ વખતે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. આ ગ્રુપની ત્રીજી ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાંથી પસાર થશે. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે. આ વખતે પણ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી ત્રણ મેચ થવાની સંભાવના છે.