IPL 2023ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર પોતાની એડીની ઈજાને કારણે આ આઈપીએલ સિઝનના પહેલા હાફમાંથી બહાર થઈ શકે છે. સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ તરફથી રમતા રજત પાટીદાર હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગલુરુમાં રિહેબિંગ કરી રહ્યા છે. IPL 2022માં RCB માટે પાટીદાર મહત્વનો બેટ્સમેન હતો. તેણે એલિમિનેટર મેચમાં પોતાની સદીથી ટીમને જીત અપાવી હતી.
રજત પાટીદારને ઈજાના કારણે ત્રણ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. એમઆરઆઈ સ્કેન પછી, તે નક્કી કરવામાં આવશે કે તે બાકીની ટૂર્નામેન્ટમાં તેની ટીમ માટે રમી શકશે કે નહીં. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, RCB કેમ્પમાં જોડાતા પહેલા જ પાટીદાર ઘાયલ થઈ ગયો હતો. હવે IPLમાં જોડાવા માટે તેને નેશનલ ક્રિકેટ એકેડમીની મંજૂરી લેવી પડશે.
બેટિંગ લાઇનઅપમાં થશે ફેરફાર!
રજત પાટીદારની ઈજા બાદ RCBની બેટિંગમાં ફેરફાર જોવા મળી શકે છે. આરસીબીના ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસને અગાઉ કહ્યું હતું કે વિરાટ કોહલી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે ઓપનિંગ કરશે અને રજત પાટીદાર નંબર ત્રણનું સ્થાન સંભાળશે. આવી સ્થિતિમાં જો પાટીદાર આઉટ થાય તો RCBની લાઇનઅપમાં ફેરફાર નિશ્ચિત છે.
રજત રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં જોડાયો હતો
રજત પાટીદાર મેગા ઓક્શનમાં વેચાયા વગરના રહ્યો હતો અને વિકેટ-કીપર બેટ્સમેન લુનવિથ સિસોદિયાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. લુનવિથ સિસોદિયા ઈજાના કારણે ટીમની બહાર હતો. આ પછી રજત પાટીદારે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા.
લખનૌ સામેની એલિમિનેટર મેચમાં સદી ફટકારી હતી
IPL 2022 માં, રજત પાટીદારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી એલિમિનેટર મેચમાં તેની શાનદાર સદીથી ટીમને જીત અપાવી. ત્રીજા નંબરે આવીને તેણે 54 બોલમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 112 રન બનાવ્યા હતા. આરસીબીએ આ મેચ 14 રને જીતી લીધી હતી.