ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર કરાયેલા અનુભવી વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ બીસીસીઆઈની 3 સભ્યોની તપાસ સમિતિની સામે ધમકી આપનાર પત્રકારનું નામ જાહેર કર્યું છે. આ સમિતિમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ખજાનચી અરુણ ધૂમલ અને બોર્ડના ટોચના કાઉન્સિલ સભ્ય પ્રભતેજ સિંહ ભાટિયાનો સમાવેશ થાય છે. સાહાનું નામ જાહેર કર્યાના કલાકો પછી, કથિત રીતે ધમકી આપનાર પત્રકારે વિડિયો જાહેર કરીને કહ્યું કે બંને વચ્ચેની વાતચીતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના એક વરિષ્ઠ પત્રકારે હવે સાહાને માનહાનિની નોટિસ મોકલવાની વાત કરી છે.
પત્રકાર બોરિયા મજમુદારે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કરતા લખ્યું, ‘દરેક વાર્તાની બે બાજુ હોય છે. રિદ્ધિમાન સાહાએ મારી વોટ્સએપ ચેટ સાથે છેડછાડ કરી. આનાથી મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને ઠેસ પહોંચી છે. મેં BCCIને નિષ્પક્ષ તપાસ કરવા વિનંતી કરી છે. મારા વકીલ રિદ્ધિમાન સાહાને માનહાનિની નોટિસ મોકલી રહ્યા છે. સત્યનો વિજય થાય.
સાહાએ ગયા મહિને જ એક પત્રકારના મેસેજનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ પછી હોબાળો મચી ગયો હતો. ઘણા દિગ્ગજોએ સાહાને પત્રકારનું નામ જાહેર કરવા વિનંતી કરી હતી. સાહાએ અંત સુધી પત્રકારનું નામ લીધું ન હતું, ત્યારપછી બીસીસીઆઈએ આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. બીસીસીઆઈએ સાહાનો સંપર્ક કર્યો જ્યાં તેણે સમગ્ર મામલો બોર્ડને જણાવ્યો. ત્યારબાદ બોર્ડે 3 સભ્યોની કમિટીની રચના કરી હતી.
બોરિયાએ પોતાના 8 મિનિટ અને 36 સેકન્ડના વીડિયોમાં કહ્યું, ‘સ્ક્રીનશોટ સાથે છેડછાડ કરવામાં આવી છે. તે સંપૂર્ણપણે સાચો નથી. સાહાનો ઈન્ટરવ્યુ પહેલેથી જ પ્લાન કરવામાં આવ્યો હતો, તેણે ઈન્ટરવ્યુ માટે ઝૂમ લિંક મોકલવાનું કહ્યું હતું. પરંતુ સમય આપ્યા બાદ પણ તે ઉપલબ્ધ થયો ન હતો. સાહાને તાજેતરમાં જ શ્રીલંકા સામેની હોમ ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પછી, સાહાએ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો સામનો કર્યો.