Umpire Richard Kettleborough – વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. જો કે તેની સદીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. વિરાટની સદી પહેલા અમ્પાયર રિચર્ડ કેટલબરોએ એક એવો નિર્ણય આપ્યો જેણે બધાને ચોંકાવી દીધા.
શું અમ્પાયરે આપ્યો ખોટો નિર્ણય?
આ મેચમાં વિરાટ કોહલીએ 97 બોલમાં અણનમ 103 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી 97 રન બનાવીને રમી રહ્યો હતો. ભારતને જીતવા માટે 2 રનની જરૂર હતી અને તેને સદી ફટકારવા માટે ત્રણ રનની જરૂર હતી. ત્યારપછી સ્પિનર નસુમ અહેમદે બોલ વિરાટ કોહલી સામે લેગ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. પરંતુ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ લેગ સ્ટમ્પની બહાર જતા બોલને વાઈડ આપ્યો ન હતો. તેમના આ નિર્ણય પર હવે હોબાળો મચી ગયો છે.
Give Man of the Match award to Richard Kettleborough. #INDvsBAN #ViratKohli #CWC23 pic.twitter.com/EkmHF1DfOH
— Buddiprakash Meena (@Buddimeena93) October 19, 2023
વાઈડ બોલ માટે આઈસીસીના નિયમો
કેટલબરોની ટીકા થઈ રહી છે કારણ કે ઘણા લોકો માને છે કે તેણે વિરાટને સદી ફટકારવા માટે બોલ વાઈડ આપ્યો ન હતો. પરંતુ MCCના વાઈડ બોલના નિયમ 22.1.2 અનુસાર, જ્યારે બોલ બેટ્સમેનની પહોંચની બહાર હોય ત્યારે તેને વાઈડ જાહેર કરવામાં આવશે. જો બેટ્સમેન સામાન્ય ક્રિકેટિંગ શોટ ફટકારી શકે છે તો તે બોલને વાઈડ જાહેર કરવામાં આવશે નહીં. વિરાટની વાત કરીએ તો તે લેગ સ્ટમ્પ પર ઉભો હતો અને જ્યારે બોલ ફેંકવામાં આવ્યો ત્યારે તે ઓફ સ્ટમ્પ તરફ ગયો, જેના કારણે અમ્પાયરે તેને વાઈડ જાહેર ન કર્યો. જો વિરાટ પોતાના વલણ પર ઊભો રહ્યો હોત તો બોલ તેના પેડ સાથે અથડાયો હોત, આવી સ્થિતિમાં કેટલબરોનો નિર્ણય યોગ્ય હતો.