સુરત,
કોરોનાના દાવાનળ પર બેસેલુ છે સુરત. અહી કોરોના કેસ અને મોતનો આંકડો સતત તંત્રની ચિંતા વધારી રહ્યો છે. આવામાં તંત્ર દ્વારા અનેક ર્નિણયો લઈને કોરોનાના કહેરને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા ર્નિણય લેવાયો કે, શરદી ,ખાંસી, કે તાવ હોય તો સુરતમાં એન્ટ્રી નહિ મળે.
સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ હબ છે. આ સિવાય અનેક ઉદ્યોગ સુરતમાં ધમધમે છે. તેથી અહી રોજના અનેક લોકોની અવરજવર હોય છે. આવામાં બહારથી આવનારા લોકોથી કોરોના વધુ ન વકરે તે માટે સુરત પાલિકા દ્વારા મોટો ર્નિણય લેવાયો છે. સુરત પાલિકાએ જાહેરાત કરી કે, બહારથી આવનાર મુસાફરમાં શરદી ,ખાંસી, કે તાવ હોય તો સુરતમાં એન્ટ્રી નહિ મળે. સુરતમાં કોરોનાની ચેઇન તોડવા સુરત પ્રવેશ દ્વારે પાલિકા સઘન તપાસ કરશે. સુરતમાં પ્રવેશતા તમામ યાત્રીઓની એન્ટ્રી પોઇન્ટ પર ફરજિયાત ટેસ્ટીંગ કરવામાં આવશે.
તો બીજી તરફ, મનપાએ પોઝિટિવ દર્દીને શોધવા માટે કોમ્બિગ ઓપરેશન શરૂ કર્યું છે. પોઝિટિવ દર્દી સુપર સ્પ્રેડર ન બને તે માટે તે શોધવા ૬૪ ટીમ બનાવાઈ છે. જે આખા સુરતમાં ફરીને પોઝિટિવ દર્દી શોધશે. આ ટીમે એક મહિનામાં ૯૭૭૨ કેસ પોઝિટિવ શોધી કાઢ્યા છે. આ સાથે જ સુરતના નાનપુરામાં પોઝિટિવ દર ૧૨ ટકા છે.
કોરોનાના ડામવા સુરતનું તંત્ર એક્ટિવ થયું છે. ત્યારે રાજ્યભરમાં સુરતની આ પેટર્નનો ઉપયોગ કરાશે. સુરતના કોવિડ કોમ્યુનિટી સેન્ટરનું અનુકરણ આખા રાજ્યમાં થશે. સુરતમાં ૨૫ કોવિડ કોમ્યુનિટી સેન્ટર છે, જેમાં હાલ ૧૫૫૭ દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે.