આજે ગણેશ વિસર્જન યાત્રા સુરતના તમામ વિસ્તારોમાંથી ધામધૂમથી નીકળશે. પાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસ સેવાના કેટલાક રૂટ બંધ રહેશે, જ્યારે કેટલાક રૂટના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગ પર શ્રીજીની શોભાયાત્રા સવારથી જ શરૂ થશે, ગણેશ વિસર્જન યાત્રાના અંત સુધી તે મુખ્ય માર્ગની બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિસર્જન યાત્રા સુધી શહેરના મુખ્ય માર્ગો પર બસ સેવા બંધ રહેશે
સુરત શહેરમાં ચાલતી સીટી અને બીઆરટીએસ બસોમાં દરરોજ 2.5 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે. આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રાને કારણે આ બસ સેવાને અસર થશે. ગણેશ વિસર્જન યાત્રા માટે પોલીસ કમિશનર દ્વારા માર્ગો વાહનો અને ટ્રાફિક માટે બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન સવારના 7 વાગ્યાથી ગણપતિ વિસર્જનની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો વાહનોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, આથી પાલિકાએ બીઆરટીએસના સમયમાં પણ ફેરફાર કર્યો છે.
કેટલાક રૂટના બસ સેવાના સમયપત્રકમાં ફેરફાર
ગણેશ વિસર્જનને કારણે બસ સેવાને અસર થશે, આ દરમિયાન કેટલાક રૂટ પર બસ દોડાવવાનું શક્ય નથી. પરંતુ શહેરની જનતાને જાહેર પરિવહન સેવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા બસ સેવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી વિસર્જન યાત્રાના મુખ્ય રૂટ સિવાયના અન્ય રૂટ પર બસ સેવા ચાલુ રહેશે, જોકે જનતાને અસુવિધા ન થાય તે માટે તેનો નિયમિત સમય બદલવામાં આવ્યો છે.
આવતીકાલે ગણેશ વિસર્જનના દિવસે સવારે 11 વાગ્યા સુધી બસ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 55 જેટલા રૂટ પર બસ સેવા ચાલી રહી છે અને દરરોજ હજારો નાગરિકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. આ વખતે ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને શહેરીજનોને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેને ધ્યાનમાં રાખીને બસ સેવાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.