દિલ્હીના સ્ટેડિયમની ખરાબ પિચને કારણે રણજી ટ્રોફીની મેચ સુરતને ફાળવવામાં આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) ના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 3 થી 6 જાન્યુઆરી દરમિયાન રણજી મેચ રમાશે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપક્રમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રેલવે અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની રણજી ટ્રોફી મેચ યોજાશે. એલિટ ગ્રુપ-ડી રણજી ટ્રોફી લીગની મેચો રેલ્વે અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે 3, 4, 5, 6 જાન્યુઆરીએ રમાશે.
આ મેચ રેલવેના હોમ ગ્રાઉન્ડ દિલ્હીના કર્નલ સિંહ સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે BCCI દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વિનંતી બાદ મેચને સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે. મેચનો સમય સવારે 9:30 થી સાંજે 4:30 નો રહેશે. દર્શકોને મેચ જોવા માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ SDCA એ આ ફર્સ્ટ ક્લાસ મેચ માટે ઝડપી વ્યવસ્થા કરી છે.
એસડીસીએના પ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટર, સેક્રેટરી હિતેશ પટેલ અને ક્રિકેટ સેક્રેટરી ડો. નેમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, બંને ટીમના કર્ણ શર્મા, ઉમરાન મલિક, શુભમ ખજુરિયા, ઉપેન્દ્ર યાદવ જેવા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરનારા ખેલાડીઓ સુરતના મેદાનમાં રમતા જોવા મળશે. પહેલા આવો પહેલા સેવાના ધોરણે દર્શકોને મેચ જોવા માટે ફ્રી એન્ટ્રી આપવામાં આવશે.