રાજકોટ : કોરોના કાળમાં લોકોના ધંધા વેપાર ઠપ થયા છે કાંતો ધીમે ધીમે ચાલી રહ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. આમ આર્થિક સંકડામણના કારણે અનેક લોકોએ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું હતું. આવી જ એક ઘટના મીની લોકડાઉનના સમયમાં રાજકોટમાં બનવા પામી હતી. રાજકોટ શહેરમાં આર્થિક ભીંસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં રહેતા આધેડ મીની લોકડાઉનના કારણે કામ ધંધો ઠપ થઈ જતાં ઘરે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધાનો તેમના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ કડિયા કામ ની મજૂરી કરી પોતાનું તેમજ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. સંતાનમાં તેમને બે પુત્ર અને એક પુત્રી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસને આપેલા નિવેદનમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે કામ ધંધો ઠપ થઈ જતાં મૃતકે ત્રણ મહિના અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઘરના મોભી નું અવસાન થતા ત્રણ જેટલા સંતાનોએ વ્હાલસોયા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજકોટ શહેરમાં પી જી વી સી એલ ના નિવૃત્ત કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ગાયત્રી ધામ સોસાયટીમાં રહેતા પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી ધર્મેન્દ્ર ભાઈ શુક્લ એ બુધવારના રોજ સાંજના ભાગ્યે પોતાના ઘરે પોતાની જાતે ગળા ઉપર કટર ના ધા મારી લીધા હોવાનો બનાવ સામે આવ્યો હતો.
સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતા તેઓએ તાત્કાલિક અસરથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસે વૃદ્ધનું નિવેદન પણ નોંધ્યું હતું. પોલીસની પૂછપરછમાં વૃદ્ધે જણાવ્યું હતું કે મીની લોકડાઉનના કારણે તેઓ બહાર નીકળી શકતા ન હોય તેઓને ઘરમાં રહેવું ગમતું ન હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું છે.