સુરત : ગુજરાતના મંત્રી કુમાર કાનાણીના પુત્રને ઠપકો આપીને ચર્ચામાં આવેલી એલઆરડી સુનિતા યાદવની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. સુનિતા વિરુદ્ધ ત્રણ આરોપોની તપાસનો આદેશ સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ પૈકી મંત્રીના પુત્રને ઠપકો આપવાના કેસની તપાસ પહેલાથી જ ચાલી રહી છે.
સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટએ સુનિતા યાદવ વિરુદ્ધ રસ્તા પર ઉઠક – બેઠક કરાવવી અને 9 જુલાઇથી તેની ફરજ પરથી ગાયબ થવા બાબતે તપાસનો આદેશ આપ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, ગુજરાતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશને કાયદાના પાઠ ભણાવનાર કોન્સ્ટેબલ સુનિતા યાદવે રાજીનામું આપ્યું હતું.
મીડિયા સાથે વાત કરતા સુનીતા યાદવે કહ્યું કે, તે દિવસે એક મોટી ઘટના બનતા અટકી ગઈ હતી, હું ભાગ્યશાળી છું કે ત્યાં એક એફઓપી (ફ્રેન્ડ ઓફ પોલીસ) જવાન હતો જેણે વીડિયો બનાવ્યો હતો. આમાંથી હું સાબિત કરી શકું છું કે હું તે સમયે સાચી હતી. તે દિવસે જે બન્યું, અમે આખી વાત કહી શકીએ નહીં. કારણ કે મારું રાજીનામું હજી સ્વીકાર્યું નથી.