સુરતઃ સુરતમાં સતત આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. તેમાં પણ લોકો સામાન્ય બાબતે આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે. ત્યારે પતિ પત્નીના સામાન્ય ઝગડામાં પતિ અથવા પત્ની એવા પગલાં ભરી લેતા હોય છે કે, તેમના બાળકોને માતા અથવા પિતાની છત્ર છાયા ગુમાવાનો વારો આવતો હોય છે. જોકે આવીજ એક ઘટનામાં માત્ર ચાર વર્ષના બાળકને માતાની છત્ર છાયા ગુમાવાનો વારો આવ્યો છે.
મૂળ બનાસકાંઠાના વતની અને હાલ અમરોલી છાપરાભાઠાના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી 24 વર્ષીય આશા રમેશ ચૌધરી સુરતમાં ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. આ નર્સ આશાને એક ચાર વર્ષનો દીકરો છે જે વતનમાં દાદા-દાદી સાથે રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી પુત્ર નર્સ સાથે જ રહેતો હતો.
નર્સ સંતાનને વતન મોકલવા માંગતી હતી. 23મી તારીખે 4 વર્ષના પુત્રને વતન વતન મોકલવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ પુત્રને પોતાની સાથે જ રાખવા માંગતો હતો. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્નીને માઠું લાગી આવતા તેણીએ એક રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી લીધો હતો.
પતિએ દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા પડોશી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી છતાં પત્નીએ દરવાજો ન ખોલતા ફાયરને બોલાવી દરવાજો ખોલવામાં આવ્યો હતો. રૂમની અંદર જતા મહિલાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી.
આપઘાત કરનાર પરણિતાને લગ્નનાં માત્ર 6 વર્ષ થયા હતા અને છેલ્લા બે મહિનાથી નર્સ તરીકે કામ કરતી હતી જોકે, આ ઘટના પગલે અમરોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.