સુરતઃ કોરોનાના કપરા સમયમાં સુરતમાં ગુરુવારે મોડી રાત્રે દુર્ઘટના ઘટી હતી. સુરતના ઉધના વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં દટાઈ જતાં બે બાળકોના મોત નીપજ્યા હતા. જોકે, તેમનાં માતાપિતાનો ચમત્કારિક બચાવો થયો છે. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોના પરિવાર પર સ્લેબ ધરાસાઈ થઇ ગયો હતો જોકે ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગે પહોંચીને રેસ્ક્યૂ કર્યુ હતું અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતાપિતાનો બચાવ થયો છે. જોકે બે બાળકોનું કરુણ મોત થયું છે.
સુરતમાં ગતરોજ રાત ગોજારી સાબિત થઇ છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અંબર નગર ખાતે એક એવી ઘટના સામે આવી જેને લઈને સમગ્ર વિસ્તારનાં લોકો સાથે ફાયર વિભાગ પણ મોડીરાત્રે દોડતું થઇ ગયું હતું. એક મકાનમાં ચાર લોકોનું પરિવાર રહેતું હતું. નરેશ ગોલીવાડના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં મોડી રાત્રે લગભગ રાત્રીના પોણા બાર વાગ્યે જોરદાર ધડાકા સાથે પડેલા સ્લેબ ધરાસાઈ થઈ ગયો હતો.
જોકે જોરદાર અવાજ આવતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણકારી આપી હતી. ફાયરની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ શરૂ કર્યુ હતુ અને કાટમાળ નીચે દટાયેલા ચાર વ્યક્તિને બહાર કાઢી અને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, આ ઘટનામાં જમીન પર સૂતેલા બે માસૂમ બાળકોનાં દુ:ખદ મોત થયા છે.
નિંદ્રાધીન પરિવાર જ્યારે ભરઉંઘમાં પોઢી રહ્યો હતો ત્યારે અચાનક તેમની માથે મોત ખાબક્યું હતું. જોકે, આ સમયે સૌથી મોટો સવાલ એ સામે આવ્યો છે કે શું આ મકાન જર્જરિત હતું કે નહીં અને જો હતું તો તેને પાલિકાની કોઈ નોટિસ મળી હતી કે કેમ. જોકે, આ બધા જ સવાલો માનવ જિંદગી સામે નિર્થક છે.
આ ઘટનામાં એક હસતો રમતો પરિવાર વિખાઈ ગયો છે. ગઈકાલ રાત સુધી સાથે રહેતો પરિવાર પળવરમાં જ ઉઝડી ગયો છે. આ આઘાતમાં માતાપિતા કેવી રીતે નીકળશે તે કહેવું તો શક્ય નથી પરંતુ હાલ એક અકસ્માતે એક નિર્દોષ પરિવારનો માળો વીખી નાખ્યો છે. ઘટનાના કારણે આસપાસના રહીશોમાં પણ ડરનો માહોલ છે.