ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની મુખ્ય જાહેર પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 3 હજારનો ઘટાડો નોંધાયો છે. આ વખતે સુરતના 76,878 વિદ્યાર્થીઓ ધોરણ-10ની મુખ્ય પરીક્ષા આપવાના છે. જ્યારે ગત વર્ષે 80,141 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કોરોના વાયરસ રોગચાળાની અસર હોવાનું જણાય છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા આગામી 14મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આથી ગુજરાત શિક્ષણ બોર્ડે નવેમ્બર મહિનાથી જ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આમ 7મી જાન્યુઆરીએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ વખતે ધોરણ-10 રાજ્યની મુખ્ય જાહેર પરીક્ષા માટે 9,60,871 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 3,658 ઓછા વિદ્યાર્થીઓ છે.
સુરત શહેર-જિલ્લાની વાત કરીએ તો આ વખતે 3,268 વિદ્યાર્થીઓની ઘટ છે. સુરત શહેર-જિલ્લાના 76,878 વિદ્યાર્થીઓએ ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા માટે નોંધણી કરાવી છે. જ્યારે ગત વર્ષે ધોરણ-10ની પરીક્ષા માટે 80,141 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આમ સુરત શહેર જિલ્લામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ ડ્રોપ થયા હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા અંગે શિક્ષણવિદ ડો. અનીશા મહિડા સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં રહેતા લાખો પરપ્રાંતિયો કોરોના વાયરસ રોગચાળાને કારણે લોકડાઉન લાગુ થતાંની સાથે જ તેમના વતન પરત ફર્યા હતા. જેમાંથી કેટલાક ક્યારેય સુરત પાછા આવ્યા નથી. મતલબ કે તેણે કાયમ માટે સુરત છોડી દીધું હોય તેવું લાગે છે. આમ તે સમયે તેના પરિવારમાં ધોરણ 7 અને 8માં ભણતા વિદ્યાર્થીઓએ પણ અભ્યાસ છોડી દીધો હશે. જેની સીધી અસર હવે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા પર જોવા મળી રહી છે.