સુરત: શહેરમાં દુષ્કર્મના રોજેરોજ કેસ બનતા રહે છે ત્યારે આશરે એક વર્ષ પહેલા અમરોલીમાં 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરનાર યુવકને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે આ સાથે કોર્ટે કિશોરીને સાત લાખ રૂપિયા વળતર આપવાનો પણ આદેશ કર્યો છે. આ ચકચારી દુષ્કર્મ કેસમાં કોર્ટના ચૂકાદાથી પરિજનો સંતોષની લાગણી અનુભવી રહ્યા છે.
સુરતમાં સતત દુષ્કર્મની ફરિયાદો નોંધાતી રહે છે. ગત તારીખ 4 મે, 2020ના રોજ અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતી 14 વર્ષની કિશોરીને તેના બિલ્ડિગમાં રહેતો સંજય સોલંકી નામનો 18 વર્ષનો યુવાન લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભાવનગર ખાતે લઇ ગયો હતો. કિશોરી પોતાના ઘરેથી ચેવડો લેવા માટે નીકળી હતી, આ દરમિયાન તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ યુવકે કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
કિશોરી મોડી સાંજ સુધી ઘરે પરત નહિ આવતા તેણીના માતાપિતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડીને કિશોરીને છોડાવી હતી. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ કાર્યાયવાહી કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતા કોર્ટ આરોપીને 20 વર્ષની સખત કેદ અને 12 હજારનો દંડ કરવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત પીડિતાને 7 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.
સત્ર ન્યાયાધીશ (પોક્સો) પ્રકાશચંદ્ર કાલાની કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, બનાવથી ભોગ બનનારની બાકીની જિંદગી ઉપર પણ અસર પડી છે. બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે જ, પરંતુ વ્યક્તિના આત્માનું મૃત્યુ થાય તેવો ગુનો પણ છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત આવી ઘટનાઓ બની રહી છે ત્યારે આ ચૂકાદો સમાજમાં એક દાખલા સમાન ગણવામાં આવશે. નાની બાળકીઓ પર બળજબરીથી કે પછી પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરનારાઓ નરાધમોમાં ડર પેશે તે ખૂબ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત આવી ઘટનાઓ બની રહી છે ત્યારે આ ચૂકાદો સમાજમાં એક દાખલા સમાન ગણવામાં આવશે. નાની બાળકીઓ પર બળજબરીથી કે પછી પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરનારાઓ નરાધમોમાં ડર પેશે તે ખૂબ જરૂરી છે.