નવી દિલ્હી : સતત છ ક્વાર્ટર સુધી નુકસાન થયા બાદ એરટેલને પ્રથમ વખત ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન 854 કરોડનો મોટો નફો કર્યો છે. ભારતી ઇન્ફ્રાટેલ અને સિંધુ ટાવર્સ સાથે જોડાણ અને વધતા ડેટા વપરાશકારોને કારણે આવકમાં વધારો થવાથી કંપનીને નફો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભારતી એરટેલની આવક 24 ટકા વધી 26,518 કરોડ રૂપિયા થઈ છે.
1 કરોડ 40 લાખ વપરાશકારો વધ્યા
ડિસેમ્બર ક્વાર્ટરમાં એરટેલના 1 કરોડ 40 લાખ વપરાશકારોનો વધારો થયો છે. છેલ્લા ચાર ક્વાર્ટર્સની તુલનામાં વપરાશકર્તાઓની સંખ્યામાં સૌથી વધુ વધારો થયો છે. આને કારણે એઆરપીયુમાં પણ સરેરાશ આવકમાં વધારો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં તે 162 રૂપિયા હતો જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બરમાં તે વધીને 166 રૂપિયા થયો હતો. એરટેલનું કહેવું છે કે કંપનીના બોર્ડે બોન્ડ દ્વારા 7500 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તેની યોજનાને મંજૂરી આપી દીધી છે.
4G સેવાના ગ્રાહકોની સંખ્યામાં વધારો
કંપનીના સારા પ્રદર્શનનું એક મોટું કારણ તેના 4G ગ્રાહકોના વધારાને આભારી છે. એરટેલમાં 4G સબ્સ્ક્રાઇબર્સમાં તીવ્ર વધારો એ સાબિત કરે છે કે કિસાન આંદોલન દરમિયાન તેને જિયોના બાયકોટથી ફાયદો થયો છે. પંજાબ અને હરિયાણામાં, મોટી સંખ્યામાં લોકોએ જિયોનું જોડાણ છોડી દીધું અને એરટેલની 4G સેવા લીધી. જો કે, એરટેલનો રેવન્યુ માર્કેટ શેર હજી પણ રિલાયન્સ જિયો કરતા ઓછો છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એરટેલનો માર્કેટ શેર 34.2 ટકા હતો અને જિયોનો શેર 41.3 ટકા હતો. તાજેતરના સમયમાં એરટેલને મોટી સંખ્યામાં સબ્સ્ક્રાઇબર્સ પ્રાપ્ત થયા છે. આ કારણ છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની આવકમાં વધારો થયો છે. વિશ્લેષકો કહે છે કે, ભારતી એરટેલે તાજેતરના ત્રિમાસિક ગાળામાં તેની યોજનાઓ સારી રીતે લાગુ કરી છે. આથી તેમની આવક અને નફો વધ્યો છે.