નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે કંપનીઓને એજીઆર બાકી ચૂકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો છે. પરંતુ તેનાથી ટેલિકોમ કંપનીઓને વધુ રાહત નથી મળી અને તેઓ ટેરિફ પ્લાન વધુ આગળ વધારવા દબાણ કરી શકે છે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાની ખંડપીઠે ટેલિકોમ કંપનીઓને રાહત આપી હતી, તેમને બાકીની કુલ આવક એટલે કે એજીઆર ચૂકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો હતો.
સંકટ દૂર થયું નથી
પરંતુ સંકટ દૂર થયું નથી, ખાસ કરીને વોડાફોન-આઇડિયા અને એરટેલ માટે. કોર્ટના આદેશ મુજબ ટેલિકોમ કંપનીઓએ માર્ચ 2021 સુધીમાં બાકીના 10 ટકા અને ફેબ્રુઆરી 2022 પછી બાકીના 90 ટકા ચુકવણી કરવાની રહેશે. વોડાફોન આઈડિયાએ હાલમાં જ ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટમાં 7854 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, જ્યારે તેમની એજીઆરની કુલ બાકી 58,254 કરોડ છે. એ જ રીતે, એરટેલે 18,004 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને 25,976 કરોડ હજી ચૂકવવાના છે.
ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની જેફરીઝના એક અનુમાન મુજબ, વોડાફોન આઈડિયાએ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 5000 કરોડ રૂપિયા અથવા ત્યારબાદ દર વર્ષે 6,800 કરોડ ચૂકવવા પડશે. એ જ રીતે, એરટેલને માર્ચ સુધીમાં 2,600 કરોડ અને ત્યારબાદ દર વર્ષે 3,500 કરોડ ચૂકવવા પડશે.
નફો કરતા વધારે ચૂકવણી કરવી પડી શકે છે
એટલે કે, વોડાફોનને દર વર્ષે તેના ઓપરેટિંગ પ્રોફિટ (ઇબીઆઇટીડીએ) કરતા વધારે ચૂકવણી કરવી પડી શકે છે. એ જ રીતે, એરટેલ માટે પણ આ રકમ તેના ઓપરેટિંગ નફાના આશરે 22 ટકા હોઈ શકે છે.