અમદાવાદ: પ્રાઇમરી માર્કેટમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે પૂરબહાર તેજીની મોસમ ક્યારે ખીલશે તેનો કોઈને ખ્યાલ નથી પરંતુ અમદાવાદ સ્થિત કંપનીઓના પ્રમોટર્સને બજારમાં વર્તમાન સમય તેમની કંપનીઓના લિસ્ટીંગ માટે બિલકુલ યોગ્ય જણાઇ રહ્યો છે.
આગામી દિવસોમાં અમદાવાદની ચારેક કંપનીઓના લિસ્ટીંગ સ્ટોક એક્સચેન્જિસમાં થશે, જેમાંથી એક એરિસ લાઈફ સાયન્સિઝ ૧૬મી એપ્રિલે આઈપીઓ સાથે પ્રવેશી રહી છે. જીટીપીએલ 21 જૂનના રોજ બજારમાં પ્રવેશી રહી છે. અન્ય બે સાહસોમાં શેલ્બી હોસ્પિટલ અને માસ ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ બજારમાં પ્રવેશવા તૈયાર છે. આ તમામ કંપનીઓને સેબીની મંજૂરી મળી ચૂકી છે અને તેઓ કુલ મળીને લગભગ રૂ.3500 કરોડ બજારમાંથી એકત્ર કરશે.
ગુજરાતી પ્રમોટર્સ માટે વર્તમાન સમયે મૂડીબજારમાં પ્રવેશવાનું મુખ્ય કારણ બેન્ચમાર્ક્સનું સર્વોચ્ચ સપાટી પર હોવું અને માર્કેટમાં પુષ્કળ લિક્વિડીટી હોઇ શકે છે. મારા મતે પ્રમોટર્સને હાલનો સમય ગોલ્ડન પિરિયડ લાગી રહ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી ટોચ પર છે અને અનેક મીડ-કેપ્સ ઊંચા વેલ્યૂએશન પર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે તેઓને પણ ઊંચા વેલ્યુએશન મળવાની ખાતરી હશે અને તેથી તેઓ યોગ્ય સમયે એક્ઝિટ લઈ રહ્યાં છે,એમ મોનાર્ક નેટવર્થ કેપિટલના એમડી વૈભવ શાહ જણાવે છે.
ઉપરાંત આ તમામ કંપનીઓ લાંબા સમયથી તેમના બિઝનેસમાં સુસ્થાપિત છે અને તેમની પાસે વિસ્તરણ યોજનાઓ પણ છે જે માટે બજારમાંથી નાણા મેળવવાનો વિકલ્પ તેઓ ઉપયોગમાં લઈ રહ્યા છે.
અમદાવાદ સ્થિત ઉપરોક્ત ચાર કંપનીઓમાંથી એરિસ લાઈફસાયન્સિઝ રૂ.1736 કરોડ એકત્ર કરવા ધારે છે. જ્યારે જીટીપીએલ લગભગ રૂ.500 કરોડ એકત્ર કરશે. શેલ્બી હોસ્પિટલ અને માસ ફાઈનાન્સિયલ સર્વિસિઝ અનુક્રમે રૂ.580 કરોડ અને રૂ.550 કરોડનું ભંડોળ એકત્ર કરે તેવું અનુમાન બજાર રાખી રહ્યું છે. એરિસ લાઈફસાયન્સિઝમાં ક્રિસ કેપિટલ નામના ઈન્વેસ્ટર એક્ઝિટ લઈ રહ્યાં છે. ઈન્વેસ્ટરે છ વર્ષ અગાઉ રૂ.200 કરોડમાં 16.25 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જેના પર હાલમાં તે રૂ.1347 કરોડનો એટલેકે લગભગ સાત ગણો નફો રળી રહી છે.