વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત નિર્માણ અભિયાનના જનઆંદોલનમાં મહિલાઓનું પ્રદાન અનેરૂ પુરવાર થઇ રહ્યું છે.
આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૮મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્ત્।ે યોજાનાર ‘સ્વચ્છ શકિત સપ્તાહ-૨૦૧૭’ સમાપન સમારોહના યોજાનાર છે. વડાપ્રધાનશ્રીના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારો દ્વારા જે ભગીરથ પ્રયાસો હાથ ધર્યો છે, જેના પરિણામે દેશના ૧૭૦થી વધુ જિલ્લાઓ ખુલ્લામાં શૌચક્રિયા મુકત (ઓ.ડી.એફ.) જાહેર થયા છે. જેમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, સમગ્ર રાષ્ટ્રમાં ૧લી માર્ચ થી ૮મી માર્ચ દરમિયાન સ્વચ્છ શકિત સપ્તાહ-૨૦૧૭ ઉજવવાનું આયોજન કરાયું છે. જેનો સમાપન સમારોહ ૮મી માર્ચે બપોરે ૨.૩૦ વાગ્યે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિત કેન્દ્રીય મંત્રીશ્રીઓ તથા રાજય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રભરમાંથી ૬,૦૦૦થી વધુ મહિલા સરપંચો ભાગ લેશે. સવારના સેશનમાં કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓ જેવી કે, બેટી બચાવો અભિયાન, સ્વચ્છતા મિશન, ડીજીટલ ઇન્ડિયા જેવી યોજનાઓની તજજ્ઞો દ્વારા માહિતી અપાશે અને મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર અને રાજય સરકારની સ્વચ્છતા મિશન અંગેની યોજનાઓનું ગ્રામીણ માહોલ ખડું કરતું અદભૂત પ્રદર્શન પણ યોજવામાં આવનાર છે.
ગ્રામ વિકાસ, ગ્રામ પંચાયત વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્વચ્છ શકિત સપ્તાહ-૨૦૧૭ અભિયાનનો સમાપન સમારોહ ગુજરાતમાં યોજાઇ રહ્યો છે તે આપણા માટે ગૌરવની વાત છે. તેમણે ઉમેર્યું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતમાં ૨૧ જિલ્લાઓ ઓડીએફ જાહેર થયા છે. રાજયભરમાં આ સપ્તાહ દરમિયાન સ્વચ્છતા સંદર્ભે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે, જેને વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, મહાત્મા મંદીર ખાતે ૮મી માર્ચે યોજાનાર આ સમારોહ ૧૨-૩૦ કલાકે શરૂ થશે. જેમાં રાષ્ટ્રભરમાંથી જે ૬,૦૦૦ મહિલા સરપંચો ઉપસ્થિત રહેનાર છે તેઓને ગુજરાતના અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, કચ્છ, સુરત મળી કુલ આઠ જિલ્લાઓનો પ્રવાસ કરાવીને રાજયમાં થયેલ વિકાસના દેશને દર્શન કરાવાશે. ઉપરાંત ૭મી માર્ચના રોજ સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે.
આ પ્રસંગે જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર શ્રીમતી ડી.થારા સહિત ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી મોદી આવતીકાલે બપોરે બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કાલે ભરૂચના બ્રીજના ઉદ્ઘાટનમાં હાજરી આપ્યા બાદ સાંજે ગાંધીનગર રાજભવન પહોંચશે. ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. તા. ૮મીએ સવારે દીવથી સોમનાથ જઇને દર્શન કર્યા બાદ બપોરે ગાંધીનગર મહિલા સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ૮મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.