મુંબઇ: સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કર્યા બાદ દેશની બેન્કોમાં નોટો તબદિલ કરવા માટે મોટા પ્રમાણમાં ધસારો જોવા મળી રહ્યો છે. સાથેસાથે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે પણ લોકો દોડી રહ્યા છે ત્યારે એસબીઆઇના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે બેન્કના એટીએમને નવી ચલણી નોટોના અનુરૂપ ટેક્િનકલી રીતે સક્ષમ બનાવવા હજુ ૧૦ દિવસનો સમય લાગી શકે છે. તેમણે કહ્યું હતું કે અમારા ૫૬,૦૦૦ એટીએમમાંથી ૪૩,૬૫૦ એટીએમ ચાલુ છે. બેન્કના એટીએમને સમયસર ભરવામાં આવે છે, પરંતુ ઉપાડ મોટા પ્રમાણમાં થતો હોવાથી બેન્કની મુશ્કેલી વધી રહી છે. જ્યાં સુધી રૂ. ૫૦૦ અને ૨,૦૦૦ની ચલણી નોટો ભરવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી આ મુશ્કેલી જોવાઇ શકે તેમ છે, જેને હજુ ૧૦ દિવસનો સમય લાગી શકે છે.
શહેરના મોટા ભાગનાં એટીએમ આજે પણ ખાલીખમ
આજે એક સપ્તાહ બાદ લોકોની નાણાંની ઉપાડવાની હાલાકીનો અંત આવ્યો નથી. મોટા ભાગની બેન્કોના એટીએમ ઉપાડ થવાથી ખાલીખમ છે. બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલના જણાવ્યા પ્રમાણે એક બાજુ ઉપાડ મોટા પ્રમાણમાં થાય છે, જ્યારે બીજી બાજુ નાણાં નહીં ભરાતાં એટીએમ કેશ વગરના થઇ જાય છે.