ભાજપ ના સીનીયર અને મોદીજીના માનીતા એવા સૌરભ પટેલ છેલ્લા બે-ત્રણ દિવસોથી ભારે ચર્ચામાં રહ્યા છે. અને એક અંગ્રેજી અખબાર અને ગુજરાતના અગ્રણી દૈનિક માં સૌરભ પટેલ સામે કૌભાંડનો મામલો બહાર આવતા ભારે ચકચાર જાગી છે. ૧૪ વર્ષ સુધી ગુજરાતના ઉર્જા પેટ્રો કેમીકલ્સ મંત્રી રહી ચુકેલા અને ચાર વખત ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા સૌરભ પટેલ પીએમ મોદીના ગુડલીસ્ટમાં છે. એક કદાવર નેતા તરીકે તેમની ઓળખ છે અને હવે તેઓ મંત્રીપદ ઉપર હતા ત્યારે પોતાના પરિવારના સભ્યોને આર્થિક લાભ પહોંચાડયો હોવાનો આરોપ લાગ્યો છે. સૌરભ પટેલની ગુજરાતના આઠ ઓઇલ બ્લોકમાં નાણાકીય હિસ્સેદારી હોવાનો મામલો સામે આવ્યો છે. ઇન્ડિયન એકસપ્રેસની તપાસ અનુસાર તેમણે કંપનીઓની જાળ દ્વારા આ બ્લોકસમાં પૈસા લગાવ્યા હતા. ૭ ઓગષ્ટ ર૦૧૬ના રોજ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા સૌરભ પટેલને મંત્રીમંડળમાંથી બહાર રાખવામાં આવ્યા હતા.
ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ અનુસાર સૌરભ પટેલે પોતાના મંત્રીપદ દરમિયાન ગુજરાતની ૮ જાહેર એકમવાળી ઓઇલ કંપનીઓ અને ગેસ શોધતી કંપનીઓમાં પોતાની કંપની સુર્યજાને હિસ્સેદારી અપાવડાવી હતી જેમાં તેમને અબજો રૂપિયાનો નફો થયો છે. ર૦૦૮માં સૌરભ પટેલ જયારે મોદી મંત્રાલયમાં ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ મંત્રી હતા ત્યારે તેમના ભાઇ મેહુલ દલાલ અને ભાભી નીકિતા દલાલે સુર્યજા ઇન્ફ્રા પ્રા.લી. કંપની ખોલી હતી. જેમાં દરેકને પ૦૦૦ શેર અપાયા હતા. તે પછી ર૦૧૦માં સૌરભ પટેલ અને તેના પુત્ર અભય દલાલને પણ કંપનીમાં પ૦૦૦ શેર અપાયા હતા અને આ કંપની થકી સૌરભ પટેલે તેલ અને ગેસની શોધખોળના બીઝનેસમાં એન્ટ્રી લીધી હતી.
આ દરમિયાન સુર્યજાએ કેન્દ્ર અને રાજયની સાર્વજનિક સ્વામીત્વવાળી આઠ ઓઇલ બ્લોક સાથે કોન્ટ્રાકટ સાઇન કર્યા હતા. આ જાહેરક્ષેત્રના ઉપક્રમોમાં ઓએનજીસી, એચઓઇસી અને જીએસપીસી સામેલ છે. મહત્વની વાત એ છે કે આ કંપનીમાં સૌરભ પટેલ અને તેમના પુત્રએ પોતાનુ સરનામુ તેમાં નંદન, પંચવટી, એલીસબ્રીજ અમદાવાદ લખ્યુ છે. આ બધુ એવે વખતે થયુ જયારે સૌરભ પટેલ સત્તાના ઉર્જાવાન નેતા અને મંત્રીપદ ઉપર હતા. જયારે ઇન્ડિયન એકસપ્રેસની ટીમ આ સરનામે ગઇ ત્યારે જાણવા મળ્યુ કે કંપની ઓફિસ ગુલબાઇ ટેકરા, પંચવટી અમદાવાદમાં છે.
ઓકટોબર-ડિસેમ્બર ર૦૦૯ દરમિયાન જયારે તેઓ ઉર્જામંત્રી હતા તો સુર્યજાએ ગુજરાત નેચરલ રીસોર્સ લીમીટેડમાં નિવેશ કર્યો હતો. આ નિવેષથી હિતોના ટકરાવનો મામલો બને છે. ઇન્ડિયન એકસપ્રેસે જયારે કંપનીના રેકોર્ડ, બેલેન્સસીટ અને બોમ્બે સ્ટોક એકસચેન્જમાં ફાઇલીંગની તપાસ કરી તો બધી કંપનીઓની જાળ સામે આવી. આ બધુ સૌરભ પટેલની કંપની સુર્યજા સાથે જોડાયેલી હતી.
આ બાબતે સૌરભ પટેલને પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે, મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ બધુ રાજકીય પ્રેરિત છે. હું બીઝનેસમાં ૧૯૯૮થી છું. ઇન્ડિયન એકસપ્રેસે મોકલેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, હું આ ヘર્યચકિત છુ અને દુઃખી છે કે મને આવા સવાલ કરવામાં આવ્ય છે. તેમણે ર૦૧રમાં ચૂંટણીપંચમાં આપેલા દસ્તાવેજોમાં પણ સુર્યજા કંપનીમાં પોતાના પ૦૦૦ શેરને લઇને માહિતી આપી ન હતી. સૌરભ પટેલ ધીરૂભાઇ અંબાણીના મોટાભાઇ રમણીકભાઇ અંબાણીના જમાઇ છે. તેમણે ર૦૦ર થી ર૦૧૬ વચ્ચે ઉર્જા, પેટ્રો, ખનીજ, સ્ટેશનરી, પર્યટન, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ સહિતના મંત્રાલય સંભાળ્યા હતા. જેમાં નાણાનો પણ સમાવેશ થાય છે.