મુંબઈ- શનિવારે મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલાં મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમશે. પરંતુ ભારત પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા નહીં જાય અને પાકિસ્તાનને ભારતમાં રમવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
અમિત શાહે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી આંતરરાષ્ટ્રીય આયોજનનો એક ભાગ છે. અને ભારત ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાંથી પાછળ હટી જાય તેવું શક્ય ન બને. અને જ્યાં સુધી અંદરોઅંદર રમવાની વાત છે, તો એકબીજાના દેશમાં રમવાની વાત હાલના સંજોગોમાં શક્ય નથી. મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધતા ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈને ભારતીય જનતા પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતા આ નિવેદન આપ્યું હતું.
અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને સમર્થન આપવાનુ બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે કોઈ પણ પ્રકારનું આદાન પ્રદાન શક્ય નથી. પછી તે રમતગમત ક્ષેત્રે હોય કે સાંસ્કૃતિક ક્ષેત્રે. શાહે જણાવ્યું કે, સરહદ સળગતી હોય અને પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરી અને ભારત પર આતંકી હુમલાઓ કરતું હોય તેવા સંજોગામાં પાકિસ્તાન સાથે ક્રિકેટશ્રેણીનું આયોજન કરવાનું વિચારવું પણ અસ્થાને છે.