મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં ડોંગરીના જેજે ફ્લાયઓવર પાસે પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના આજે સવારે બની છે. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. આ ઇમારત જર્જરરિત સ્થિતિમાં હતી. આ ઇમારતના કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકને ધ્યાનમાં રાખીને ફાયરબ્રિગેડ અને NDRFની ટીમોને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 12 ગાડીઓ બનાવના સ્થળ પર પહોંચી છે. જ્યારે કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે NDRFની ટૂકડીઓ પણ પહોંચી છે. ભીંડી બજાર વિસ્તારમાં ધારશાયી થયેલી આ બિલ્ડિંગના કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢીને આસપાસના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિકોએ આ બિલ્ડિંગ છેલ્લા કેટલાક સમયથી ભયજનક સ્થિતિમાં હતી છતાં લોકો તેની અંદર રહેતા હતા.શરુઆતના મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈમારત 50 વર્ષ જૂની છે. જેમાં 10થી 12 પરિવારો રહેતા હતા. કાટમાળ નીચે 30 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા છે, એક પ્રત્યક્ષદર્શીએ એક ટીવી ચેનલમાં વાતચીતનો દાવો કર્યો છે કે 100થી વધુ લોકો બિલ્ડિંગ નીચે ફસાયેલા હોઈ શકે છે. અત્યાર સુધીમાં 5 લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભારે વરસાદ બાદ મુંબઈમાં જર્જરિત ઇમારતો પર સંકટ ઘેરાઈ રહ્યું છે. કહેવાય છે કે મંગળવારે મુંબઈમાં થયેલો ભારે વરસાદ 1997 પછી મુંબઈમાં એક દિવસમાં સૌથી વધુ થનારો વરસાદ હતો. એક દિવસના વરસાદમાં જ લોકો પર મુશ્કેલીનું આભ ટૂટી પડ્યું, અને વરસાદમાં ઘણાએ જીવ ગુમાવ્યો. ડીસીપી ઝોન-1 મનોજ શર્માએ જણાવ્યું કે, “કાટમાળ નીચેથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, કાટમાળ નીચે કેટલાક લોકો દટાયેલા છે તેનો કોઈ ચોક્કસ આંકડો મળ્યો નથી.”