ક્રિકેટ જતગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીલંકા સામે દાંબુલામાં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરનાર વિરાટ કોહલીએ એ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા. જોકે 11 વર્ષની આ યાત્રાને યાદ કરતા વિરાટ કોહલીએ ભાવુક પોસ્ટ કરી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 11 વર્ષ પૂરા કર્યા બાદ કોહલીએ આને ભગવાનની કૃપા અને એક સપનાનું સાચું થવું જણાવ્યું છે. કોહલીએ કહ્યું કે તેને ક્યારે એવી અપેક્ષા નહોતી. કોહલીએ તેના ટ્વીટર પર બે તસવીરો શેર કરી. સાથે લખ્યું કે,‘આ દિવસે 2008માં કિશોર તરીકે શરૂઆત કરવા થી લઈ 11 વર્ષની યાત્રા પૂરી કરવા સુધી, મેં ક્યારે સપનામાં પણ એવું વિચાર્યું નહોતું કે ભગવાન મારા પર આટલી દયા કરશે. તમને બધાને તમારા સપના પૂરા કરવા અને સાચા માર્ગે આગળ વધવાની શક્તિ મળે. સદૈવ આભારી.’
આપને જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા હાલ વેસ્ટઈન્ડીઝના પ્રવાસે છે. જ્યાં તે હવે 22 ઓગસ્ટે અંટીગા ખાતે પહેલી ટેસ્ટ મેચની શરૂઆત કરશે. આ પહેલા ભારતે ટી20 અને વનડે સિરીઝ પોતાના નામે કરી છે. ત્યારે હવે ટીમ ઇન્ડિયાની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે.